વિવાદોમાં રહેનારા સાંસદોનું કપાશે પત્તુ, જાણો ક્યારે આવશે ભાજપની ત્રીજી યાદી? | મુંબઈ સમાચાર

વિવાદોમાં રહેનારા સાંસદોનું કપાશે પત્તુ, જાણો ક્યારે આવશે ભાજપની ત્રીજી યાદી?

ભારતીય જનતા પાર્ટીએ બુધવારે લોકસભા ચૂંટણી માટે 72 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી હતી. આ પહેલા તેમણે 195 ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડી હતી. આમ અત્યાર સુધીમાં કુલ 267 સીટ પર ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે. હવે એમ જાણવા મળ્યું છે કે ભાજપના ઉમેદવારોનું ત્રીજુ લિસ્ટ 17 કે 18 માર્ચના રોજ આવશે.

મળતી માહિતી અનુસાર ભાજપ ત્રીજી યાદીમાં કેટલાક વધુ વર્તમાન સાંસદોને ટિકિટ આપી શકે છે અને કેટલાક સાંસદોનું પત્તું કપાઇ પણ શકે છે. ભાજપની અત્યાર સુધીમાં બહાર પાડવામાં આવેલી યાદી જોઇએ તો જાણવા મળે છે કે વિવાદાસ્પદ નિવેદનો આપનાર અથવા પક્ષ માટે શરમજનક વિવાદ સર્જનાર મૈસુરના પ્રતાપ સિંહા જેવા સાંસદો ટિકિટ મેળવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે જ મુલાકાતીઓની ગેલેરીમાંથી કૂદીને ગૃહની અંદર સ્મોક બોમ્બ ફેંકનારા લોકો માટે લોકસભાની એન્ટ્રી ટિકિટ મેળવી હતી. એમ પણ માનવામાં આવે છે કે પહેલી અને બીજી યાદીની સરખામણીમાં વિવાદોથી દૂર રહેનારા નેતાઓની સંખ્યા આ ત્રીજી યાદીમાં વધુ હોઈ શકે છે. અનેક વર્તમાન સાંસદોની ટિકિટ કપાઇ શકે છે અને તેને સ્થાને બિન વિવાદિત, નવોદિત અને યંગ ચહેરાઓને સ્થાન આપવામાં આવી શકે છે.


ભાજપની બીજી યાદીમાં યુપીની એક પણ સીટના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નહોતા. જોકે, પ્રથમ યાદીમાં યુપીના 51 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હવે બાકીની 24 બેઠકો પર ઉમેદવારોની યાદી આવવાની બાકી છે. રીટા બહુગુણા જોશી, વરણ ગાંધી, મેનકા ગાંધી, જનરલ વી. કે. સિંહ, જનરલ વીકે સિંહ, બ્રિજ ભૂષણ શરણ સિંહ, સંતોષ ગંગવાર. જેવા પાર્ટીના મોટા માથાઓના નામો હજી આવવાના બાકી છે.


બરેલી બેઠક પરથી લોકસભાના સાંસદ બનેલા સંતોષ ગંગવાર સતત દસમા વર્ષે ઉમેદવારી કરવા માગે છે. બદાયુના સાંસદ સંઘમિત્રા મૌર્યા પણ કતારમાં છે. પીલીભીંતથી વરૂણ ગાંધી પણ Wait And watch મોડમાં છે. આમાંથી કોનું પત્તુ કપાશે અને કોને ટિકિટ મળશે એ હજી નક્કી નથી.


મહારાષ્ટ્રમાં શિવસેના (શિંદે) અને એનસીપી (અજિત) સાથે અંતિમ બેઠક વહેંચણીની ઔપચારિક જાહેરાત થવાની બાકી હોવા છતાં ભાજપે મહારાષ્ટ્રમાંથી તેના 20 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એટલે હવે કોને બેઠક ફાળવવામાં આવશે તે તો મોવડી મંડળ જ નક્કી કરશે.


આગામી લોકસભાની ચૂંટણી નરેન્દ્ર મોદીના નામ અને સિદ્ધિઓ પર લડવામાં આવશે, તેથી જ અનેક મતવિસ્તારોમાં સ્વચ્છ છબી ધરાવતા નવા ચહેરાઓને તક આપવામાં આવી છે. પક્ષ બિહાર, તમિલનાડુ અને ઓડિશામાં ગઠબંધન બનાવવાના પણ પ્રયાસો કરી રહી છે. કૉંગ્રેસ છોડીને તાજેતરમાં ઝ ભાજપમાં સામેલ થયેલા પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન અમરિદર સિંહના પત્ની પ્રનીત કૌરને ટિકિટ આપવામાં આવી શકે છે.

Back to top button