આસિયાન સમિટમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે થશે બેઠક, સત્તાવાર જાહેરાતની પ્રતીક્ષા…

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મુલાકાતની અટકળો સતત વધી રહી છે, જે ભારતથી અમેરિકા સુધીના રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પાંચ દિવસ પછી મલેશિયામાં આયોજિત આસિયાન શિખર સમ્મેલનમાં આ બંને નેતાઓની મુલાકાત થઈ શકે છે તેવી શક્યતાઓને લઈને ઉત્સુકતા વધી છે. આ સંમેલન વિશ્વના બે મોટા દેશોના નેતાઓ વચ્ચેની વાતચીત માટે મહત્વપૂર્ણ મંચ બની શકે છે.
મલેશિયામાં રવિવારે (26 ઓક્ટોબર, 2025)થી આસિયાન શિખર સમ્મેલનની શરૂઆત થવાની છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાજરીની શક્યતાઓ છે. આ સમ્મેલનમાં બંને નેતાઓ વચ્ચે મુલાકાતને લઈને કયાસનું બજાર ગરમ છે, જેમાં અમેરિકા અને ભારત વચ્ચેના વેપારી તણાવને કારણે વધુ રસ જાગ્યો છે. મલેશિયાના નેતૃત્વે ટ્રમ્પની હાજરીની પુષ્ટિ કરી છે, પરંતુ અમેરિકી વ્હાઈટ હાઉસ અને ભારત સરકારે હજુ આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
અમેરિકી વ્હાઈટ હાઉસે ટ્રમ્પની હાજરી અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું નથી, જ્યારે ભારત સરકારે પણ મોદીની સંમેલનમાં ભાગીદારીની સત્તાવાર પુષ્ટિ કરી નથી. આ મુલાકતની સંભાવના હોવા જતા મલેશિયાના આસિયાન સમ્મેલનમાં ટ્રમ્પની હાજરીની જાહેરાતને કારણે અટકળો વધી છે. આ વાતને લઈને બંને દેશોમાં રાજકીય હલચલ વધી છે, જે વૈશ્વિક સ્તરે ધ્યાન આકર્ષિત કરી રહી છે.
આસિયાન સમિટમાં મોદી અને ટ્રમ્પ વચ્ચેની સંભવિત મુલાકાતને લઈને ચર્ચા તીવ્ર છે, કારણ કે ભારત પર અમેરિકી ટેરિફના તણાવ વચ્ચે આ મુલાકાત મહત્વપૂર્ણ બની શકે છે. તેમજ, નવેમ્બર, 2025માં જોહનિસબર્ગમાં આયોજિત જી20 સમિટમાં ટ્રમ્પની હાજરીની શક્યતા ઓછી છે, જ્યારે ક્વાડ દેશોના આગામી શિખર સમ્મેલનની તારીખ હજુ નક્કી નથી. આ કારણે મલેશિયાનું સમ્મેલન બંને નેતાઓ વચ્ચે મુલાકાત માટે એકમાત્ર તક તરીકે જોવાઈ રહ્યું છે.
આ પણ વાંચો…‘INS વિક્રાંત ભારતની શક્તિનું પ્રતિક…’ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નૌકાદળના જવાનો સાથે દિવાળી ઉજવી