ભારત પ્રત્યેનો પ્રેમ: મિસ વર્લ્ડ ઓપલ ચુઆંગસરી રામ મંદિરના દર્શન માટે ઉત્સુક, ભારતીય સંસ્કૃતિ અને મહિલાઓથી પ્રભાવિત!

નવી દિલ્હી: મિસ વર્લ્ડ 2025નો ખિતાબ જીતનાર થાઈલેન્ડની ઓપલ સુચાતા ચુઆંગસરીએ સમાચાર એજન્સી સાથેની ખાસ વાતચીતમાં ભારત પ્રત્યેનો પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો છે. તેમણે ભારતના અનેક મંદિરોની મુલાકાત લેવાની ઈચ્છા જાહેર કરી છે, જેમાં અયોધ્યાનું રામ મંદિર પણ સામેલ છે. ચુઆંગસરીએ ભારત અને થાઈલેન્ડ વચ્ચેના ગાઢ સાંસ્કૃતિક સંબંધો વિશે વાત કરતા કહ્યું, હું ભારતના ઘણા મંદિરો જોવા માંગુ છું. મને આ જગ્યાઓ ખૂબ સુંદર અને ખાસ લાગે છે. જેમ મેં કહ્યું, ભારત અને થાઈલેન્ડની સંસ્કૃતિ અને પરંપરાઓ એકબીજાને ઘણી મળતી આવે છે. તેથી આ જગ્યાઓને જોવી અને જાણવી એક ખૂબ સારો અનુભવ હશે.”
નોંધનીય છે કે ભારત અને થાઈલેન્ડ વચ્ચેના સાંસ્કૃતિક અને વ્યાપારી સંબંધો ખૂબ જૂના છે. થાઈલેન્ડમાં ભારતના પ્રસિદ્ધ ગ્રંથ ‘રામાયણ’ને ‘રામકિયેન’ કહેવામાં આવે છે. આ કથાની ઉંડી અસર થાઈલેન્ડના ગ્રંથો, કલા અને રાજા-મહારાજાઓની પરંપરાઓ પર ઊંડો પ્રભાવ પાડે છે. ‘રામકિયેન’માં હનુમાનજીને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે અને તેમના ચંચળતા વ્યવહારને ચિત્રિત કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: મિસ વર્લ્ડનો તાજ થાઈલેન્ડને ફાળે: ઓપલ સુચાતાએ થાઈલેન્ડ માટે જીત્યો પ્રથમ મિસ વર્લ્ડ ખિતાબ
તેલંગાણાની મહિલાઓ માટે ખાસ સંદેશ
મિસ વર્લ્ડ 2025નો ગ્રાન્ડ ફિનાલે તેલંગાણાના હૈદરાબાદમાં યોજાયો હતો, ત્યારે ચુઆંગસરીએ ત્યાંની મહિલાઓ માટે એક ખાસ સંદેશ આપ્યો. તેમણે કહ્યું, “મને તેલંગાણાની મહિલાઓ પાસેથી ઘણી પ્રેરણા મળી. તે સૌની શક્તિ, હિંમત અને હૃદયની સુંદરતાએ મને ખૂબ પ્રભાવિત કરી છે. અહીંની મહિલાઓ પાસેથી મને ખૂબ પ્રેમ અને સહયોગ મળ્યો. મને લાગે છે કે ભારતની મહિલાઓ ખૂબ મજબૂત છે અને પોતાના જીવનમાં જે ઈચ્છે તે કરી શકે છે.”
ઓપલ સુચાતાએ 72મો મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો
ઉલ્લેખનીય છે કે થાઈલેન્ડની ઓપલ સુચાતાએ 72મો મિસ વર્લ્ડનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. શનિવારે 2024ની મિસ વર્લ્ડ ક્રિસ્ટીના પિસ્ઝકોવાએ તેમને તાજ પહેરાવ્યો હતો. આ ઐતિહાસિક જીત સાથે થાઈલેન્ડને પહેલીવાર મિસ વર્લ્ડનો ખિતાબ મળ્યો હતો. ઓપલ સુચાતા ઇન્ટરનેશનલ રિલેશન્સની વિદ્યાર્થીની હોવા ઉપરાંત એક મોડેલ પણ છે. ફિનાલેમાં તેમણે એક ભવ્ય ગાઉન પહેર્યો હતો, જેણે તેમની સુંદરતા અને આત્મવિશ્વાસમાં વધારો કર્યો હતો.