પાંચ વર્ષમાં પહેલી વાર મહેબૂબા મુફ્તી LG મનોજ સિન્હાને મળ્યા, કાશ્મીરી પંડિતોનો અવાજ ઉઠાવ્યો…

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના વડા મહેબૂબા મુફ્તી આજે સોમવારે લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાને મળ્યા (Mehbooba Mufti meets LG Manoj Sinha) હતાં. મુલાકાત દરમિયાન મહેબૂબા મુફ્તીએ LGને કશ્મીર ખીણમાં કાશ્મીરી પંડિતોના પુનર્વસન પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું હતું.
મનોજ સિન્હાને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર બન્યા પછી પાંચ વર્ષમાં મહેબૂબા મુફ્તી પહેલીવાર તેમની રૂબરૂ મુલાકાતે આવ્યા હતાં.
કાશ્મીરી પંડિતના પુર્નવસનનો મુદ્દો ઉઠાવ્યો:
મુલાકાત દરમિયાન મહેબૂબા મુફ્તીએ જણાવ્યું કે કાશ્મીરી પંડિત કશ્મીરમાં પાછા ન ફરે ત્યાં સુધી કોઈ પણ રાજકીય પ્રક્રિયા અધૂરી રહેશે. તેમણે કહ્યું કે આપણા પંડિત ભાઈઓ અને બહેનોને વતનથી દુઃખદ રીતે વિસ્થાપિત કરવામાં આવ્યા હતાં, હવે આ એક નૈતિક અનિવાર્યતા અને સામાજિક જવાબદારી છે કે, તેમને ગૌરવપૂર્ણ, સલામત અને કાયમ માટે પાછા ફરવાની તક પૂરી પાડવામાં આવે.
મહેબૂબા મુફ્તીએ કહ્યું કે પંડિતોનું કાશ્મીરમાં પુનર્વસન એ ફક્ત સરકારની જ નહીં આપણી સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે સોમવારે રાજભવન ખાતે લેફ્ટનન્ટ ગવર્નરને એક પત્ર સુપરત કર્યો, જેમાં કાશ્મીરી પંડિતોના પુર્નવસન માટે શાસક સરકાર દ્વારા કરી શકાય તેવા પ્રયાસોની વિગતો આપવામાં આવી હતી.
મુફ્તીએ LG મનોજ સિંહા સાથેની મુલાકાતને ફળદાયી ગણાવી હતી, તેમણે કહ્યું કે લેફ્ટનન્ટ ગવર્નર સિંહાએ ડોક્યુમેન્ટ્સ વાંચવાનું અને શક્ય તેટલું અમલમાં મૂકવાનું વચન આપ્યું હતું. મહેબૂબા મુફ્તીની આ વાતો એટલા માટે અગત્યની છે કે આવતી કાલે મધ્ય કાશ્મીરના ખીર ભવાની મંદિરમાં મેળો યોજવાનો છે. આ વાર્ષિક ઉત્સવ માટે સેંકડો કાશ્મીરી પંડિતો કાશ્મીર ખીણમાં આવે છે.

કેદીઓને છોડવા માંગ:
ઈદ નજીક આવી રહી હોવાથી મેહબૂબા મુફ્તીએ લેફ્ટનન્ટ ગવર્નરને એવી વિનંતી પણ કરી કે તેઓ પ્રમાણમાં ઓછા ગંભીર આરોપો હેઠળ જેલમાં બંધ લોકોને મુક્ત કરવા અને જમ્મુ અને કાશ્મીરની બહારની જેલમાં બંધ લોકોને જમ્મુ અને કાશ્મીર પાછા લાવવા કાર્યવાહી કરવા પર વિચાર કરે. મુફ્તીએ ડોકયુમેન્ટ્સની નકલો કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાને પણ મોકલી છે.