Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું દેશનું બંધારણ માર્ગદર્શક, દરેક કસોટી પર ખરું ઉતર્યું

નવી દિલ્હી : દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ “મન કી બાત” (Mann Ki Baat)કાર્યક્રમના 117માં સંબોધનમાં બંધારણને લઈને ઘણી વાતો કહી. આ દરમિયાન તેમણે મહાકુંભ અને પ્રયાગરાજનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે આપણા બંધારણ નિર્માતાઓએ આપણને જે બંધારણ સોંપ્યું છે તે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે કહ્યું કે, 26 જાન્યુઆરી, 2025ના રોજ આપણા બંધારણને અમલમાં આવ્યાને 75 વર્ષ થશે. તે આપણા બધા માટે ગૌરવની બાબત છે.
નાગરિકોને બંધારણની ધરોહર સાથે જોડવા વેબસાઈટ લોન્ચ
દેશના નાગરિકોને બંધારણની ધરોહર સાથે જોડવા માટે http://constitution75.com નામની એક વિશેષ વેબસાઇટ પણ બનાવવામાં આવી છે. આમાં તમે બંધારણની પ્રસ્તાવના વાંચ્યા પછી તમારો વીડિયો અપલોડ કરી શકો છો. વિવિધ ભાષાઓમાં બંધારણ વાંચી શકશો. બંધારણ વિશે પ્રશ્નો પણ પૂછી શકો છો. પ્રધાનમંત્રીએ મન કી બાતના શ્રોતાઓને, શાળાઓમાં ભણતા બાળકો અને કોલેજમાં જતા યુવાનોને આ વેબસાઈટનો ભાગ બનવા વિનંતી કરી.
Also read: Mann Ki Baat: વડા પ્રધાને ‘ડાયરા’ની પરંપરા ઉલ્લેખ કર્યો, આ લોક કલાકારના ભરપુર વખાણ કર્યા
મહાકુંભની વિશેષતા તેની વિવિધતામાં પીએમ મોદીએ હાલમાં જ પ્રયાગરાજની મુલાકાત લીધી હતી. મન કી બાત કાર્યક્રમમાં તેમણે મહાકુંભની તૈયારીઓનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, મહાકુંભની વિશેષતા માત્ર તેની વિશાળતામાં જ નથી, પરંતુ તેની વિવિધતામાં પણ છે. આ કાર્યક્રમમાં કરોડો લોકો એકઠા થાય છે. લાખો સંતો, હજારો પરંપરાઓ, સેંકડો સંપ્રદાયો, અસંખ્ય અખાડાઓ, દરેક વ્યક્તિ એક સાથે આવે છે. આ પ્રસંગ ક્યાંય ભેદભાવ જોવા નથી મળતો, કોઈ નાનો નથી, વિવિધતામાં એકતાનું આવું દ્રશ્ય દુનિયામાં બીજે ક્યાંય જોવા નહીં મળે.