![Manipur violence: PM Modi's first meeting with the Chief Minister after the violence started in Manipur](https://bombaysamachar.com/wp-content/uploads/2024/07/Yogesh-2024-07-29T102541.543.jpg)
નવી દિલ્હી: મણીપુરમાં ગત વર્ષે ફાટી નીકળેલી વંશીય હિંસા(Manipur)ની આગ હજુ પણ ઓલવાઈ નથી, હિંસાને કારણે હજારો લોકો બેઘર થઇ ગયા છે. હિંસા શરુ થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી(PM Modi) ગઈ કાલે રવિવારે પહેલીવાર મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહ(N Biren Singh)ને મળ્યા હતા. વંશીય હિંસા ફાટી નીકળ્યા બાદ બંને નેતાઓ વચ્ચે પહેલીવાર વન-ટુ-વન વાતચીત થઇ હતી.
વડા પ્રધાન મોદીએ ભાજપના મુખ્ય પ્રધાનો સાથે કરેલી બેઠકના બીજા દિવસે એન બિરેન સિંહને મળ્યા હતાં. એક અહેવાલ મુજબ બિરેન સિંહ અને પીએમ મોદી વચ્ચે 15-20 મિનિટ વાતચીત થઇ હતી. આ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ હાજર હતા.
અધિકારીના જણાવ્યા મુજબ, “મણિપુરની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી આગામી દિવસોમાં મીટિંગની વિગતો શેર કરવામાં આવી શકે છે.”
જોકે, ભાજપ કે મણિપુર સરકારે આ મુલાકાત અંગે સત્તાવાર ટિપ્પણી કરી નથી.
ગત વર્ષે મે મહીનામાં કુકી અને મેઇતેઈ સમુદાયો વચ્ચે ફાટી નીકળેલી હિંસામાં 225 લોકોના મોત થયા છે અને લગભગ સમુદાયના 50,000થી વધારે લોકો વિસ્થાપિત થયા છે. અથડામણો ઓછી થઈ હોવા છતાં, રાજ્યમાં તણાવ યથાવત છે.
દિલ્હીની મુલાકાત દરમિયાન બિરેન સિંહે પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને કેટલાક કેન્દ્રીય પ્રધાનો સહિત ભાજપના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે બેઠકો કરી હતી છે. જો કે, તેમણે વડા પ્રધાન મોદી સાથેના તેમની બેઠકના ફોટા અથવા વિગતો શેર કર્યા નથી.