મહુઆ મોઇત્રાનું સંસદ સભ્યપદ રદ કરવા પર મમતા બેનર્જીએ આપી આવી પ્રતિક્રિયા…

નવી દિલ્હી: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતા મહુઆ મોઇત્રાની સંસદની સદસ્યતા કેશ ફોર ક્વેરી કેસમાં તેમની પર લાગેલા આરોપોને કારણે રદ કરવા આવી છે. ત્યારે મુખ્ય પ્રધાન અને પાર્ટી અધ્યક્ષ મમતા બેનર્જીએ કહ્યું હતું કે લોકશાહીમાં બાયપાસ સર્જરી થઈ છે.’
દાર્જિલિંગના કુર્સિયોંગમાં મહુઆ મોઇત્રા પર મમતા બેનર્જીએ કહ્યું હતું કે હું તમને કહું છું કે મહુઆ મોઇત્રા સંજોગોનો શિકાર છે. અમારી પાર્ટી મહુઆ સાથે છે. અમારી પાર્ટી ઇન્ડિયા ગઠબંધન સાથે મળીને લડશે. આ લોકશાહીની હત્યા છે. હું ભાજપનું વલણ જોઈને દુઃખી છું. તેમણે મહુઆને તેનું સ્ટેન્ડ સ્પષ્ટ કરવા દીધું નહિ. ભાજપે મહુઆ સાથે અન્યાયી વર્તન કર્યું છે.
સપા પ્રમુખ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી મહુઆ મોઇત્રા કેસમાં તીખી પ્રતિક્રિયા આપી હતી. તેમને પોસ્ટમાં લખ્યું હતું કે શાસક પક્ષે વિપક્ષના લોકોનું સભ્યપદ લેવા માટે એક સલાહકારની નિમણૂક કરવી જોઈએ, જેથી પ્રધાનો અને શાસક પક્ષના સાંસદો અને ધારાસભ્યોનો સમય ષડયંત્ર કરવાને બદલે જનહિતના કાર્યો માટે વપરાય. તેમજ જે આધારે સાંસદોની સદસ્યતા લેવામાં આવી રહી છે તેનો અમલ શાસક પક્ષ પર કરવામાં આવે તો કદાચ તેમના એક-બે સાંસદો જ ગૃહમાં રહેશે.

આ ઉપરાંત BSP સાંસદ દાનિશ અલીએ કહ્યું હતું કે જ્યારે રમેશ બિધુરીએ અપમાનજનક શબ્દો બોલ્યા ત્યારે સાંસદનું અપમાન નહોતું થયું. પરંતુ જ્યારે આજે મહુઆ મોઇત્રાની સંસદ સભ્યપદ રદ કરવામાં આવી છે. એ જોઇને આજે ગાંધી અને આંબેડકરની આત્માઓ રડી રહી છે.
મહુઆ મોઇત્રાની લોકસભાની સદસ્યતા રદ થયા બાદ વિપક્ષના તમામ સાંસદો સંસદ ભવનમાંથી બહાર આવી ગયા હતા. BSP સાંસદ દાનિશ અલી તેમના ગળામાં પ્લેકાર્ડ લટકાવતા જોવા મળ્યા હતા. સંસદમાંથી હાંકી કાઢવા પર TMC નેતા મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે મેં અદાણીનો મુદ્દો ઉઠાવ્યો હતો જેના કારણે મને સંસદના સભ્યપદેથી બરતરફ કરવામાં આવી છે.