તો શું સસ્તી થશે Insurance Policy ? આ મુખ્યમંત્રીએ નિર્મલા સીતારમણ સમક્ષ કરી માંગ

નવી દિલ્હી : પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જીવન વીમા અને સ્વાસ્થ્ય વીમા પોલિસી પર (Insurance Policy) 18 ટકા GST લાદવાના નિર્ણયને પ્રજાવિરોધી ગણાવ્યો છે. તેમણે તેને પાછો લેવા વિનંતી કરી છે. મમતા બેનર્જીએ શુક્રવારે આ મુદ્દે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે. તેમણે આ પત્રમાં જણાવ્યું હતું કે જીવન વીમા અને આરોગ્ય વીમાનો મુખ્ય ઉદ્દેશ્ય બીમારી, અકસ્માત અને અકસ્માતે મૃત્યુ જેવા સંજોગોમાં નાણાકીય સુરક્ષા અને સહાય પૂરી પાડવાનો છે.
જો GST હટાવવામાં નહીં આવે તો મમતાનો પક્ષ વિરોધ કરશે
પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ હાલમાં જ કહ્યું હતું કે જો કેન્દ્ર સ્વાસ્થ્ય અને જીવન વીમા પોલિસી પર લાદવામાં આવેલ GST નહિ હટાવે તો તેમની પાર્ટી આંદોલન શરૂ કરશે. મુખ્યમંત્રીએ પત્રમાં જણાવ્યું હતું કે, “હું જીવન વીમા અને આરોગ્ય વીમા પોલિસી/ઉત્પાદનો પર 18 ટકા GST લાદવા અને નવા કરમાં આવકવેરા કાયદાની કલમ 80C અને 80D હેઠળની કપાત પાછી ખેંચવા વિશે ખૂબ જ દુઃખ સાથે લખી રહી છું. જે મારા મતે લોક વિરોધી છે.”
વીમા પર GST લાદવાને કારણે સામાન્ય વ્યકિતનો બોજ વધ્યો
મુખ્યમંત્રીએ કહ્યું કે વીમા પ્રીમિયમ પર લાગતો GST સામાન્ય લોકો પર આર્થિક બોજ વધારે છે. આ બોજ ઘણા લોકોને નવી પૉલિસી લેવાથી અથવા તેમની હાલની વીમા પૉલિસી ચાલુ રાખવાથી રોકે છે. તેમજ આકસ્મિક નાણાકીય તકલીફનું જોખમ વધારી શકે છે. તેમણે જણાવ્યું હતું કે જીવન વીમા અને આરોગ્ય વીમા પ્રિમીયમ પર GST પાછી ખેંચી લેવાથી અને નવા કર શાસનમાં આવકવેરા કાયદાની કલમ 80C અને 80D હેઠળ આવા પ્રિમીયમ પર કપાતનો સમાવેશ વ્યાપક વીમા કવરેજને સરળ બનાવશે. તેમણે નાણામંત્રીને કહ્યું, મને વિશ્વાસ છે કે તમે આ વિનંતીને ખૂબ ગંભીરતાથી લેશો.