મહારાષ્ટ્ર ચૂંટણીમાં ગેરરીતિના આરોપો સામે ચૂંટણી પંચે રાહુલ ગાંધીને જવાબ આપ્યો: જાણો શું વિગતવાર…

નવી દિલ્હી: ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ હારેલો પક્ષ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવે એવો ટ્રેન્ડ વર્ષોથી જોવા મળ્યો છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ચૂંટણી પંચ પર ગેરરીતીના આરોપ લગાવી રહ્યા છે, તાજેતરમાં તેમણે અખબારોમાં લેખ લખીને આરોપ લગાવ્યો હતો કે 2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પંચે મતદારયાદીમાં ગોટાળા (Rahul Gandhi Accusation on EC) કર્યા હતાં. આ મામલે ચૂંટણી પંચે પત્ર લખી રાહુલ ગાંધીને જવાબ આપ્યો છે.
પત્રમાં ચૂંટણી પંચે ભારપૂર્વક જણાવ્યું કે તમામ ચૂંટણીઓ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદા અને નિયમો હેઠળ કડક રીતે હાથ ધરવામાં આવે છે. રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત બૂથ-લેવલ એજન્ટો સહિત સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં હજારો લોકો સામેલ હોય છે.

ચૂંટણી પંચે કરી સ્પષ્ટતા:
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને ઇમેઇલ મારફતે પત્ર મોકલ્યો છે, જેમાં પંચે જણાવ્યું હતું કે વિધાનસભા મતવિસ્તાર સ્તરે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ડી સેન્ટ્રલાઈઝ રીતે હાથ ધરવામાં આવી હતી, જેમાં કમિશન દ્વારા નિયુક્ત 1,00,186 થી વધુ બૂથ લેવલ ઓફિસર્સ (BLO), 288 ચૂંટણી નોંધણી અધિકારીઓ (ERO), 139 સામાન્ય નિરીક્ષકો, 41 પોલીસ નિરીક્ષકો, 71 ખર્ચ નિરીક્ષકો અને 288 રિટર્નિંગ ઓફિસર્સ (RO) સામેલ હતાં. આ ઉપરાંત, રાષ્ટ્રીય અને રાજ્ય રાજકીય પક્ષો દ્વારા કુલ 1,08,026 બૂથ લેવલ એજન્ટ્સ (BLA) ની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસના 28,421 BLAનો સમાવેશ થાય છે.
‘સમસ્યા હોય તો અમને જણાવો’
ચૂંટણી પંચે રાહુલ ગાંધીને કહ્યું, “અમારું માનવું છે કે ચૂંટણી પ્રક્રિયાને લગતો કોઈપણ મુદ્દો કોંગ્રેસના ઉમેદવારો દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરેલી ચૂંટણી અરજીઓ દ્વારા પહેલાથી જ ઉઠાવવામાં આવ્યો હશે. જો તમને હજુ પણ કોઈ સમસ્યા હોય, તો તમે અમને લખી શકો છો અને કમિશન તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે પરસ્પર અનુકૂળ તારીખ અને સમયે તમને રૂબરૂ મળવા માટે પણ તૈયાર છે.”
રાહુલે ગાંધીએ ફરી મુદ્દો ઉઠાવ્યો:
રાહુલ ગાંધીએ મંગળવારે ફરી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિઓનો મુદ્દો ઉઠાવ્યો હતો, તેમણે દાવો કર્યો કે કોઈ ગેરરીતિઓ નથી થઇ પરંતુ મતોની ચોરી થઈ છે. તેમણે મશીન-રીડેબલ ડિજિટલ મતદાર યાદી તેમજ સીસીટીવી ફૂટેજ તાત્કાલિક જાહેર કરવાની માંગ કરી.

X પરની એક પોસ્ટમાં રાહુલ ગાંધીએ એક મીડિયા રિપોર્ટ પણ શેર કર્યો. આ રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2024ની લોકસભા ચૂંટણી અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી વચ્ચે માત્ર છ મહિનાના ગાળામાં ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસની નાગપુર દક્ષિણ પશ્ચિમ બેઠક પર 29,219 નવા મતદારો ઉમેરાયા હતાં.