મહાકુંભની પૂર્ણાહૂતિ બાદ કંઈક આવી થઈ ગઈ છે પ્રયાગરાજની હાલત…

45 દિવસ સુધી માનવમહેરામણથી ઊભરાઈ પ્રયાગરાજની રૌનક અને શાનો-શૌકત તો આપણે બધાએ જોઈ લીધી. 144 વર્ષ બાદ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે આ ભવ્ય મહાકુંભનું આયોજન કરાયું હતું. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મહાકુંભમાં ખૂબ જ સુંદર વ્યવસ્થા કરી હતી.
પરંતુ હવે શું? 26મી ફેબ્રુઆરીના મહાશિવરાત્રિના દિવસે મહાકુંભની પૂર્ણાહૂતિ થઈ અને એક સમયે માનવ મહેરામણથી ખીચોખીચ સંગમ, પ્રયાગરાજના રસ્તાઓ અત્યારે કઈ પરિસ્થિતિમાં છે એનો વિચાર કર્યો છે? ચાલો તમને પ્રયાગરાજની આજની પરિસ્થિતિથી વાકેફ કરાવીએ…
આપણ વાંચો: Video: મહાકુંભના સમાપન બાદ પણ સંગમ તટ પર શ્રદ્ધાળુઓની ભીડ
45 દિવસ સુધી પ્રયાગરાજ અને પ્રયાગરાજની હવામાં આસ્થા, ઉત્સાહ અને ઉમંગ છવાયેલો હતો. એવું લાગી રહ્યું હતું કે જાણે આખી સૃષ્ટિ ત્રિવેણી સંગમની દિશામાં ચાલી નીકળી હોય. દેશના ખુણે-ખુણેથી આવતા અતિથિઓની આગતા સ્વાગતામાં જાણે પ્રયાગરાજ શબરી બની ગયું. કિલોમીટરના કિલોમીટર સુધી લાગેલા ટ્રાકિફ જામમાં અટવાયેલા શ્રદ્ધાળુઓને તકલીફ પહોંચાડી પણ આજે એ રસ્તા સંપૂર્ણપણે સૂના પડી ગયા છે.
આજે પ્રયાગરાજના રસ્તા પર ચહેલ પહેલ તો છે પણ 45 દિવસ સુધી જોવા મળેલી રૌનક ક્યાંક ખોવાઈ ગઈ છે. આખું શહેર તો જેમનું તેમ જ છે પણ તેમ છતાં અહીંના લોકોને જાણે કશુંક ખોવાઈ ગયું હોય કે ગુમાવી દીધું હોય એવી અનુભૂતિ થઈ રહી છે.
આપણ વાંચો: મહાકુંભમાં નોંધાયા અનેક ‘રેકોર્ડ’: સરકારે સફાઈ કર્મચારીઓ માટે જાહેર કર્યું બોનસ
સ્થાનિકોનો આખો દિવસ અહીં આવનારા શ્રદ્ધાળુઓને સંગમનો રસ્તો દેખાડતાં દેખાડતાં ક્યાં સવારથી સાંજ થઈ જતી હતી એ ખબર જ નહોતી પડતી. પણ હવે સંગમ જવાનો રસ્તો કયો છે, એ કોણ પૂછશે એવો સવાલ પ્રયાગરાજવાસીઓના મન, આંખોમાં ડોકાઈ રહ્યો છે.
મહાકુંભના સમાપન બાદ આખા પ્રયાગરાજમાં જાણે માયુસી, ઉદાસી અને એક ન ગમતી શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે, એવી શાંતિ જે પ્રયાગરાજવાસીઓને ખટકી રહી છે. સોશિયલ મીડિયા પર પણ ખાલી પડેલાં ટેન્ટ સિટી અને ખાલી પડેલાં સંગમના ફોટો અને વીડિયો વાઈરલ થઈ રહ્યા છે.