Mahakumbh 2025 : સીએમ યોગીએ કહ્યું મહાકુંભે રાજ્યમાં નવા પંચતીર્થને જોડયા, ઉમટ્યું શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં(Mahakumbh 2025)બુધવારે આખરી સ્નાન છે. જેની માટે વહીવટીતંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથે વિધાન પરિષદમાં જણાવ્યું હતું કે મહાકુંભે પ્રયાગરાજ, અયોધ્યા, કાશી, મથુરા, ગોરખપુર નવા પંચતીર્થને જોડ્યા છે. તેમણે કહ્યું કે રાજ્ય હવે એક નવા યુગ તરફ આગળ વધી રહ્યું છે.
મહાકુંભથી રાજ્યમાં નવા પંચ તીર્થને જોડયા
સીએમ યોગીએ વિધાનસભાના બજેટ સત્રના છઠ્ઠા દિવસે વિધાન પરિષદમાં રાજ્યપાલના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા હતા.
આપણ વાંચો: મહાશિવરાત્રી પર મહાકુંભમાં ઉમટશે માનવ મહેરામણ, જાહેર કરવામાં આવી એડવાઇઝરી
આ દરમિયાન તેમણે મહાકુંભના આયોજન અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા આરોપોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા. મુખ્યમંત્રીએ કહ્યું, મહાકુંભ વિશ્વમાં અત્યાર સુધી યોજાયેલી તમામ ઘટનાઓના રેકોર્ડ તોડી રહ્યું છે. મહાકુંભથી રાજ્યમાં નવા પંચ તીર્થને જોડયા છે.
મહાકુંભ ભારતની શાશ્વત પરંપરા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો ઉત્સવ
સીએમ યોગીએ કહ્યું કે જ્યારે આખી દુનિયા પ્રયાગરાજના મહાકુંભની ભવ્યતા અને દિવ્યતા જોઈ રહી છે, ત્યારે વિપક્ષ ફક્ત ટીકા કરવામાં જ વ્યસ્ત છે. તેમણે કહ્યું, આ કોઈ સામાન્ય ઘટના નથી, પરંતુ ભારતની શાશ્વત પરંપરા, શ્રદ્ધા અને સંસ્કૃતિનો ઉત્સવ છે. જેણે વૈશ્વિક સ્તરે દેશની પ્રતિષ્ઠાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે.
આપણ વાંચો: મહાકુંભમાંથી પરત ફરી રહેલા ગુજરાતીઓ પર મધ્ય પ્રદેશમાં હુમલો
આંકડા ટાંકીને મુખ્યમંત્રીએ કહ્યું કે અત્યાર સુધીમાં 64 કરોડ ભક્તોએ સ્નાન કર્યું છે. જે વિશ્વના કોઈપણ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોની સંખ્યા કરતા ઘણી વધારે છે.
અયોધ્યામાં 52 દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચ્યા
મહાકુંભની સરખામણી વિશ્વના અન્ય ધાર્મિક કાર્યક્રમો સાથે કરતા સીએમ યોગીએ કહ્યું કે હજ દરમિયાન 1.4 કરોડ શ્રદ્ધાળુઓ મક્કાની મુલાકાત લે છે. એક વર્ષમાં 80 લાખ શ્રદ્ધાળુઓ વેટિકન સિટીની મુલાકાત લે છે.
જ્યારે અયોધ્યા ધામમાં 52 દિવસમાં 16 કરોડ શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. તેમણે કહ્યું, કરોડો ભક્તો કાશી, મથુરા-વૃંદાવન અને અન્ય તીર્થસ્થળો પર પહોંચ્યા જે સાબિત કરે છે કે ભારતની સનાતન પરંપરા ફક્ત ધાર્મિક માન્યતાઓ સુધી મર્યાદિત નથી પરંતુ વિશ્વ સંસ્કૃતિનો પાયો છે.