મહાદેવ સટ્ટા એપ કેસમાં નવો વળાંક, સીએમ બઘેલને રૂ. 508 કરોડ આપવાની વાતથી પલટી મારી આરોપીએ

રાયપુરઃ મહાદેવ બેટિંગ એપ કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ પર 508 કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવનાર (કેશ કુરિયર) અસીમ દાસે હવે પોતાનું નિવેદન પાછું ખેંચ્યું છે. તેણે દાવો કર્યો છે કે તેણે ક્યારેય કોઈ રાજકારણીને રોકડ પહોંચાડી નથી. તેને કાવતરામાં ફસાવી દેવામાં આવ્યો છે. કેશ કુરિયર અસીમ દાસ અને કોન્સ્ટેબલ ભીમ સિંહ યાદવની ED દ્વારા છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના ચાર દિવસ પહેલા 3 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બંનેને તેમની ન્યાયિક કસ્ટડીની મુદત પૂરી થયા બાદ શુક્રવારે મની લોન્ડરિંગ કેસમાં વિશેષ ન્યાયાધીશ અજય સિંહ રાજપૂત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે તેની જ્યુડિશિયલ કસ્ટડી સાત દિવસ માટે વધારી છે.
અસીમ દાસે જેલમાંથી EDડાયરેક્ટરને પત્ર લખ્યો હતો અને 17 નવેમ્બરના રોજ વડા પ્રધાન કાર્યાલય સહિત ઉચ્ચ અધિકારીઓને તેની નકલ પણ મોકલી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે તેને આ કેસમાં ફસાવવામાં આવી રહ્યો છે અને કેન્દ્રીય તપાસ એજન્સીએ તેને નિવેદન પર સહી કરવાની ફરજ પાડી હતી. અંગ્રેજી એક એવી ભાષા છે જે તે સમજી શકતો નથી. આ માહિતી અસીમદાસના વકીલ શોએબ અલ્વીએ ઇડીને આપી હતી. અસીમ દાસે તેના પત્રમાં જણાવ્યું હતું કે તેના બાળપણના મિત્ર શુભમ સોનીના આમંત્રણ બાદ તે આ વર્ષે ઓક્ટોબરમાં બે વાર દુબઈ ગયો હતો. તેણે જણાવ્યું હતું કે, સોની દ્વારા ટ્રિપ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. EDના જણાવ્યા અનુસાર શુભમસોની આ કેસમાં મુખ્ય આરોપીઓમાંનો એક છે.
અલ્વીએ આ પત્ર વિશએ વધુ માહિતી આપતા કહ્યું હતું કે અસીમ દાસે તેના પત્રમાં કહ્યું હતું કે શુભમ સોની છત્તીસગઢમાં બિઝનેસ શરૂ કરવા માંગે છે અને તેણે દાસને તેના માટે રોકડની વ્યવસ્થા કરવાનું વચન આપ્યું હતું. તેના માટે કામ કરવા પણ કહ્યું હતું. જે દિવસે તેની ધરપકડ કરવામાં આવી હતી તે દિવસે અસીમ દાસને રાયપુર એરપોર્ટ પર પાર્કિંગમાં પાર્ક કરેલી કાર લેવા અને રાયપુરના વીઆઈપી રોડ પરની એક હોટલમાં ચેક-ઈન કરવાનું કહેવામાં આવ્યું હતું. બાદમાં તેઓને રસ્તા પર કાર પાર્ક કરવાનું કહેવામાં આવ્યું હતું, જ્યાં એક વ્યક્તિએ કારમાં રોકડ ભરેલી બેગ મૂકી હતી અને ત્યાંથી ભાગી ગયો હતો. અલ્વીએ જણાવ્યું હતું કે અસીમ દાસે પત્રમાં દાવો કર્યો હતો કે મને ફોન પર મારા હોટલના રૂમમાં પાછા જવા માટે કહેવામાં આવ્યું હતું અને થોડા સમય પછી EDના અધિકારીઓ મારા રૂમમાં આવ્યા અને મને તેમની સાથે લઈ ગયા. દાસે કહ્યું કે મને પાછળથી ખબર પડી કે મને ફસાવવામાં આવી રહ્યો છે. મેં ક્યારેય કોઈ રાજકીય નેતા કે કાર્યકરને પૈસા કે અન્ય કોઈ મદદ કરી નથી.
જ્યારે 3 નવેમ્બરે EDએ દાવો કર્યો હતો કે ફોરેન્સિક તપાસ અને ‘કેશ કુરિયર’ દાસના નિવેદનથી ‘ચોંકાવનારા જાણકારી’ મળી હતી કે મહાદેવ સટ્ટાબાજીની એપના પ્રમોટરોએ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને લગભગ 508 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. જોકે, હવે આરોપીએ પોતાના નિવેદન પરથી પલટી મારતા આ સમગ્ર મામલો નવેસરથી તપાસનો વિષય બની ગયો છે’.