મધ્ય પ્રદેશ કા મુખીયા કૌન…આ નેતાના વિધાનથી ફરી વિવાદ

મધ્ય પ્રદેશમાં ચૂંટણી જાહેર થશે ત્યારે તો બે પક્ષ વચ્ચે જંગ થશે, પણ હાલમાં તો ભાજપમાં જ જંગ જામ્યો હોવાનું માલૂમ પડે છે. આ જંગ ચૂંટણી જીત્યા બાદ મુખ્ય પ્રધાનનો તાજ કોના શિરે બંધાશે તે માટેનો છે. તાજેતરના શિવરાજ સિંહના કેટલાક ભાષણો જાણે તેઓ વિદાય જ લઈ રહ્યા હોય તેવા સંકેત આપી રહ્યા છે. આ દરમિયાન ભાજપના વધુ એક કદાવર નેતાએ આ ચર્ચાને વેગ આપી દીધો છે.
મધ્યપ્રદેશમાં હાલમાં સત્તાધારી પાર્ટી ભાજપે હાલ પૂરતું પીએમ મોદીના જ ચહેરા તરીકે આગળ ધરીને ચૂંટણી લડવાની જાહેરાત કરી દીધી છે. જ્યારે બીજી બાજુ ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયની સાથે જ કેન્દ્રીય પ્રધાન નરેન્દ્ર સિંહ તોમર, પ્રહ્લાદ પટેલ અને ફગ્ગન સિંહ સહિત દિગ્ગજ નેતાઓને ચૂંટણી મેદાને ઉતારી દીધા છે. હજુ સુધી સીએમ શિવરાજની ઉમેદવારીને લઈને સસ્પેન્સ યથાવત્ જ છે.
સીએમ શિવરાજની ઉમેદવારીની તરીકે વાત કરીએ તો હવે તો ભાજપને સત્તામાં વાપસી કરવા ઉપર પણ શંકા થઈ રહી છે. સસ્પેન્સ વધતો જઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી શિવરાજ પણ વિદાયના જ સંકેત આપી રહ્યા છે.
દરમિયાન કૈલાશ વિજયવર્ગીયના એક નિવેદને ચર્ચા જગાવી છે. ઈન્દોર-1 વિધાનસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર કૈલાશ વિજયવર્ગીયએ કહ્યું છે કે હું ફક્ત ધારાસભ્ય બનવા નથી આવ્યો પણ પાર્ટી મોટી જવાબદારી સોંપશે.
વિજયવર્ગીયના આ નિવેદનથી જ અટકળો થવા લાગી છે કે શું ભાજપના નેતૃત્વએ શિવરાજને વિદાયના સંકેત આપી દીધા છે.
જોકે કે જે તે રાજ્યની ચૂંટણી આવનારી હોય ત્યાં રાજકીય ગતિવિધિઓ તેજ હોય અને આવી વાતો બહાર આવતી રહેતી હોય, પરંતુ ખરા સમયે શું થશે તે કોઈને ખબર હોતી નથી.