AAPએ આસામમાં પોતાના ત્રણ ઉમેદવારો જાહેર કરી I.N.D.I.A. ગઠબંધનને આપ્યો ઝટકો

નવી દિલ્હી: Lok sabha Election 2024 જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તે I.N.D.I.A ગઠબંધનનો માથાનો દૂ:ખાવો વધતો જાય છે. ઠેર ઠેર સીટ શેરિંગથી લઈને વિવિધ બાબતોને લાગતી એક પછી સમસ્યાઓ સામે આવી રહી છે. એક સમયે I.N.D.I.A. એલાયન્સનો સૌથી મોટો ચહેરો ગણાતા બિહારના CM નીતીશ કુમારે પણ ‘કેસરિયા’ કરી લીધા છે. સાથે જ પંજાબમાં AAP ની એકલા ચૂંટણી લડવાની જાહેરાત તેમજ પશ્ચિમ બંગાળમાં પણ ‘દીદી’ની નારાજગી પણ જગજાહેર છે. તેવામાં હવે આસામથી પણ I.N.D.I.A. ગઠબંધનને ઝટકો આપતા સમાચાર બહાર આવી રહ્યા છે.
જાણવા મળતી વિગતો મુજબ આમ આદમી પાર્ટીએ (AAP) આગામી લોક સભા ચૂંટણી 2024 ને લઈને આસામમાં પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જેનો વીડિયો પાર્ટીની ઓફિશિયલ યુટ્યૂબ ચેનલ પર પણ મૂકવામાં આવ્યો છે. મનોજ ધનહર ડિબ્રુગઢથી, ભાવેન ચૌધરી ગુવાહાટીથી અને ઋષિ રાજ સોનિતપુરથી ચૂંટણી લડશે.
અગાઉ પણ AAP પંજાબમાં એકલા મેદાનમાં ઉતરવાનું એલાન કરી ચૂકી છે. થોડા સમય અગાઉ જ સીટ શેરિંગ મુદ્દે AAP અને કોંગ્રેસ વચ્ચે બેઠક થયાના સમાચાર બહાર આવ્યા હતા, પરંતુ જે રીતે AAP દ્વારા પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી છે તે રીતે કહી શકાય કે કોંગ્રેસને ઝટકો જરૂર લાગ્યો હશે.
આપને જણાવી દઈએ કે પંજાબના સીએમ ભગવંત માને થોડા દિવસો પહેલા જ જાહેર કર્યું હતું કે તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. આમ આદમી પાર્ટી 13 સીટો પર ચૂંટણી લડશે. 13 બેઠકો માટે 40 નામો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. ઉમેદવારો અંગે સર્વે કરવામાં આવી રહ્યો છે. આ સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે INDIA ગઠબંધનમાં કોંગ્રેસ સાથે બરોબર રીતે કોઈ મેળ નથી આવી રહ્યો.