નેશનલ

અવિશ્વાસ પ્રસ્તાવ પર નિર્ણય ન આવે ત્યાં સુધી ઓમ બિરલા સદનમાં નહીં જાય, વિપક્ષે મૂક્યા ગંભીર આરોપ

ભારતીય સંસદમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સામે વિપક્ષી દળોએ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરતા સંસદીય કાર્યવાહીમાં નવો વળાંક આવ્યો છે. આ ગંભીર સ્થિતિને જોતા સ્પીકર ઓમ બિરલાએ એક મોટો અને નૈતિક નિર્ણય લીધો છે. જ્યાં સુધી તેમના વિરુદ્ધ લાવવામાં આવેલા પ્રસ્તાવ પર સદનમાં ચર્ચા ન થાય અને અંતિમ નિર્ણય ન લેવાય, ત્યાં સુધી તેઓ લોકસભાની કાર્યવાહીમાં ભાગ નહીં લે. સંસદીય નિયમોમાં આવી કોઈ ફરજિયાત જોગવાઈ ન હોવા છતાં, લોકતાંત્રિક પરંપરાને માન આપી તેમણે સદનથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.
બજેટ સત્રના બીજા તબક્કાના પ્રારંભે જ એટલે કે 9 માર્ચના રોજ આ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા થવાની પ્રબળ શક્યતા છે. સંસદીય પ્રક્રિયા મુજબ, આ પ્રસ્તાવને મંજૂરી આપવા માટે ઓછામાં ઓછા 50 સાંસદોનું સમર્થન જરૂરી છે. જો પૂરતા સાંસદો સદનમાં ઊભા થઈને પોતાનું સમર્થન જાહેર કરે, તો પીઠાસીન અધિકારી તે જ દિવસે ચર્ચાની પરવાનગી આપી શકે છે. સરકાર અને વિપક્ષ બંને આ મુદ્દે આમને-સામને છે, જેના કારણે સદનમાં ભારે હોબાળાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષોએ સ્પીકર પર પક્ષપાતનો આરોપ લગાવતા અવિશ્વાસની નોટિસ સચિવ જનરલને સોંપી છે. વિપક્ષનું કહેવું છે કે ગૃહની કાર્યવાહી દરમિયાન વિપક્ષી નેતાઓનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચા દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને બોલવાની પૂરતી તક ન આપવી તેમજ 8 સાંસદોના સસ્પેન્શનના મુદ્દાને નોટિસમાં મુખ્ય આધાર બનાવવામાં આવ્યો છે. કોંગ્રેસના સાંસદ ગૌરવ ગોગોઈના જણાવ્યા અનુસાર, નિયમ 94C હેઠળ આ નોટિસ દાખલ કરવામાં આવી છે.

આ પ્રસ્તાવમાં કોંગ્રેસની સાથે RJD, સપા અને DMK જેવા પ્રાદેશિક પક્ષો પણ જોડાયા છે. કુલ 118 સાંસદોએ આ નોટિસ પર હસ્તાક્ષર કર્યા છે. જોકે, એક રસપ્રદ બાબત એ સામે આવી છે કે વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ આ નોટિસ પર સહી કરી નથી, કારણ કે સંસદીય પરંપરા મુજબ વિપક્ષ નેતા સ્પીકરને હટાવવાના પ્રસ્તાવ પર સહી કરવાનું ટાળતા હોય છે. હાલમાં લોકસભાના સચિવ જનરલ ઉત્પલ કુમાર સિંહ આ નોટિસની ટેકનિકલ તપાસ કરી રહ્યા છે, ત્યારબાદ જ સદનમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button