લેફ્ટનન્ટ શશાંક તિવારીને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત: જાણો કઈ રીતે શહીદ થયા હતા?

નવી દિલ્હી: ભારતીય સેનાના જવાનો દિવસ-રાત જોયા કર્યા વગર દેશની સરહદ પર રક્ષા કરતા રહે છે. તેથી દેશના જાંબાઝ સૈનિકોની ભારત સરકાર દ્વારા કદર પણ કરવામાં આવે છે. આવા સૈનિકોની હયાતીમાં અથવા મરણોપરાંત પણ રાષ્ટ્રપતિના હસ્તે સન્માન કરવામાં આવે છે. તાજેતરમાં ભારતીય સેનાના લેફ્ટનન્ટ શશાંક તિવારીને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવાની જાહેરાત કરવામાં આવી છે.
વહેતા પાણીમાં છલાંગ લગાવી
ભારતીય સેનાના સિક્કિમ સ્કાઉટ્સ યુનિટના 23 વર્ષીય બહાદુર જવાન લેફ્ટનન્ટ શશાંક તિવારી 14 ડિસેમ્બર 2024ના રોજ સેનામાં કમિશન્ડ થયા હતા. 22 મેના રોજ, તેઓ ટેક્ટિકલ ઓપરેટિંગ બેઝ (TOB) તરફ જતા રૂટ ઓપનિંગ પેટ્રોલિંગનું નેતૃત્વ કરી રહ્યા હતા. ભવિષ્યમાં તૈનાતી માટે આ બેઝને એક મહત્વપૂર્ણ પોસ્ટ તરીકે તૈયાર કરવામાં આવી રહી હતી.
22 મેના રોજ સવારે 11 વાગ્યે લેફ્ટનન્ટ શશાંક તિવારીની પેટ્રોલિંગ ટીમ લાકડાના પુલ પરથી પસાર થઈ રહી હતી. એવા સમયે તેમને ટીમના અગ્નિવીર સ્ટીફન સુબ્બાઓ સંતુલન ગુમાવ્યું હતો અને પુલની નીચેના નદીના પ્રવાહમાં પડ્યો હતો. ત્યારે લેફ્ટનન્ટ શશાંક તિવારીએ જીવની પરવા કર્યા વગર પાણીના વહેતા પાણીમાં છલાંગ લગાવી હતી. તેમની પાછળ નાયક પુકાર કટીલે પણ નદીમાં છલાંગ લગાવી હતી.
અગ્નિવીરનો જીવ બચાવતા શશાંક તિવારી થયા શહીદ
બંને બહાદૂર જવાનોની મહેનતના પરિણામે અગ્નિવીર સ્ટીફન સુબ્બાનો જીવ બચી ગયો હતો. પરંતુ તેને બચાવવાની જહેમતમાં લેફ્ટનન્ટ શશાંક તિવારી પાણીના ભારે પ્રવાહમાં તણાઈ ગયા હતા. પેટ્રોલિંગ ટીમે તેમને શોધવાના તમામ પ્રયાસો કર્યા હતા. જેના પરિણામે સાડા અગિયાર વાગ્યે તેમનો મૃતદેહ ઘટનાસ્થળથી લગભગ 800 મીટર દૂર મળી આવ્યો હતો.
પોતાના જીવની ચિંતા કર્યા વગર માત્ર 23 વર્ષની ઉંમરે શહીદ થનાર ભારતીય સેનાના લેફ્ટનન્ટ શશાંક તિવારીએ દેશને એક વીરતાપૂર્ણ ગાથા અને એવો વારસો સોંપ્યો છે. જેથી ભારત સરકારે આ વીર જવાનને મરણોત્તર કીર્તિ ચક્ર એનાયત કરવાની જાહેરાત કરી છે. કીર્તિ ચક્ર શાંતિકાળમાં બહાદુરી માટે આપવામાં આવતો બીજો સર્વોચ્ચ બહાદુરી પુરસ્કાર છે. લેફ્ટનન્ટ શશાંક તિવારીની હિંમત, નેતૃત્વ અને સમર્પણ ભવિષ્યની પેઢીઓના સૈનિકોને પ્રેરણા આપતું રહેશે.
આ પણ વાંચો…ઓપરેશન સિંદૂર: પાકિસ્તાન સામે અદમ્ય બહાદુરી બદલ 16 BSF જવાનોને વીરતા ચંદ્રક