કર્ણાટકમાં નેતૃત્વ વિવાદ: ખડગેના નિવેદન પર ભાજપનો કટાક્ષ, ‘હાઈકમાન્ડ ભૂત જેવું છે!’

નવી દિલ્હીઃ કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો વચ્ચે આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, આનો નિર્ણય પાર્ટી હાઈકમાન્ડ કરશે. તેમણે આ નિર્ણય હાઈકમાન્ડ પર છોડ્યો છે અને તેમને આગળની કાર્યવાહી કરવાનો અધિકાર છે. પરંતુ આ માટે કોઈ વિવાદ ન થવો જોઈએ.
શું કહ્યું ખડગેએ
ડીકે શિવકુમારને કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન બનાવવામાં આવી શકે છે તેવી અટકળો વચ્ચે ખડગેએ કહ્યું, હાઈકમાન શું વિચારે છે તે કોઈ જાણતું નથી. આવા નિર્ણય ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરીને લેવામાં આવે છે, જાહેરમાં નહીં. ખડગેના આ નિવેદનનો ફાયદો ઉઠાવી ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ સવાલ કર્યો કે, આ ન જોયેલું કે ન સાંભળેલું હાઈકમાન ખરેખર કોણ છે? ખડગે પર વ્યંગ કરતાં તેજસ્વી સૂર્યાએ સવાલ કર્યો કે, જો કોંગ્રેસ અધ્યક્ષ નથી તો આ હાઈકમાન્ડ કોણ છે?
આ પણ વાંચો: કર્ણાટક સરકાર ફેક ન્યૂઝ પર લગામ કસવા લાવશે કાયદોઃ પ્રિયાંક ખડગેએ આપી માહિતી
કોંગ્રેસ હાઈકમાન્ડ ભૂત જેવું છે? ભાજપ નેતાની પોસ્ટ
એક્સ પોસ્ટ પર તેજસ્વી સૂર્યાએ ખડગે પર પ્રહાર કરતાં લખ્યું હતું કે કોંગ્રેસ હાઈ કમાન્ડ એક ભૂત જેવું છે. તેને નથી કોઈએ જોયા કે સાંભળ્યા, પરંતુ હંમેશાં અનુભવ કર્યો છે. એટલે સુધી કે કોંગ્રેસ અધ્યક્ષને લોકો હાઈ કમાન્ડ સમજતાં હતા, પરંતુ તેનું નામ લેતાં ખચકાય છે અને તેઓ નથી તેમ કહે છે, જે ભયાનક છે.
ખડગે અગાઉ પણ આપી ચુક્યા છે આવું નિવેદન
આ પહેલા ફેબ્રુઆરીમાં મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાના નેતૃત્વ પરિવર્તનની ચર્ચા પર એક સવાલના જવાબમાં તેમણે કઈંક આવો જ જવાબ આપ્યો હતો. તે સમયે પણ તેમણે હાઈ કમાન્ડ નક્કી કરશે તેમ કહ્યું હતું.
ડેમેજ કન્ટ્રોલની કવાયત હાથ ધરવામાં આવી
એપ્રિલમાં પણ શિવકુમારના વફાદાર કર્ણાટક કોંગ્રેસના ધારાસભ્ય બસવરાજ શિવગંગાએ ડિસેમ્બર સુધી સિદ્ધારમૈયાને હટાવવાની ખુલ્લેઆમ માંગ કરી હતી. આ માંગથી કર્ણાટક કોંગ્રેસની અંદર ચાલતી જૂથબંધી સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે કર્ણાટક કોંગ્રેસના પ્રભારી રણદીપ સુરજેવાલા 100 ધારાસભ્ય સાથે વાતચીત માટે બેંગલૂરુમાં છે. સૂત્રો મુજબ, આ તેમની ડેમેજ કંટ્રોલની કવાયત છે.