કોલકત્તા દુષ્કર્મ કાંડઃ બળાત્કારીની માતાની હિંમતને દાદ આપવી પડે, દરેક દીકરાની મા સમજે તો…

કોલકાત્તાઃ લગભગ કોઈ માતા પોતાના સંતાનને કુસંસ્કાર નહીં આપતી હોય દીકરો મોટો થઈને બળાત્કાર અને હત્યા જેવા ગંભીર ગુના કરે તેમ ઈચ્છતી નહીં હોય, પરંતુ જો તમે તમારા સંતાનની આવી કોઈ હરકત કે વૃત્તિને અજાણતા પોષતા હોવ કે તો પણ ચેતી જજો અને એકવાર આ માતાની હિંમત અને સમજદારીને સલામ કરજો.
આ પણ વાંચો : કોલકાતા આરજી કર કેસ અંગે મહત્વના અપડેટ, આરોપી સંજય રોય દોષિત…
આખા દેશને હચમચાવનાર અને પશ્ચિમ બંગાળમાં રાજકીય રંગે રંગાયેલા આર જી કાર હૉસ્પિટલ કેસમાં ગઈકાલે કોર્ટે સંજય રોયને દોષિત જાહેર કર્યો અને સોમવારે તેને કોર્ટ સજા સંભળાવશે. આ કેસમાં હજુ ભીનું સંકેલાયાના આક્ષેપો થઈ રહ્યા છે, પરંતુ કોર્ટમાં રજૂ થયેલા પુરાવાને આધારે સંજય જ દોષિત છે ત્યારે આખો દેશ સંજય પર ફીટકાર વરસાવી રહ્યો છે. દેશની આ ભાવના સમજી શકાય, પણ પરિવાર તો પરિવાર હોય છે ત્યારે સંજયની માતા અને બહેને જે કહ્યું છે તે દરેક પરિવારે ધ્યાને ધરવા જેવું છે.
શું કહ્યું સંજયની માતા અને બહેને
કોલકાતામાં શંભુનાથ પંડિત લેનમાં રહેતી માલતી રોય પોતાના દીકરા સંજય રોય વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યા કેસમાં કોર્ટના નિર્ણયની રાહ જોઈ રહી છે. ગઈકાલે જ્યારે તેને જાણ થઈ કે કોર્ટે તેના દીકરાને ગુનેગાર ઠેરવ્યો છે, ત્યારે માલતીએ કહ્યું મારે પણ ત્રણ દીકરીઓ છે. હું તે દીકરી અને પરિવારની પીડાને સમજી શકું છું. મારા પુત્રને સજા મળવી જોઈએ. ભલે કોર્ટ તેને ફાંસીની સજા આપે હું તે સજાનો પણ સ્વીકાર કરીશ. પોતાના જ દીકરા માટે આમ કહેવું મા માટે સહેલું નથી હોતું, પણ મહિલાએ દીકરાને ગુનાની સજા આપવાની પ્રતિબદ્ધતા બતાવી.
આવી જ રીતે તેની બહેન સબિતાએ કહ્યું મારા ભાઈએ જે કર્યું તે યોગ્ય નથી. અમે ખૂબ જ મુશ્કેલી ભરેલા સમયમાંથી પસાર થઈએ છીએ, પરંતુ જો તેણે વાસ્તવમાં આ ગુનો કર્યો હોય તો તેને કડક સજા મળવી જોઈએ. તમને જણાવી દઈએ કે માલતી રોય અને સબિતા જ્યુડિશિયલ કસ્ટડી દરમિયાન પણ સંજયને મળવા ગયા ન હતા.
આ પણ વાંચો : તમિલનાડુમાં ‘જલ્લીકટ્ટુ’ અને ‘મંજુવિરટ્ટુ’ના કાર્યક્રમમાં સાતનાં મોતઃ અનેક ઘાયલ
શું હતો કેસ
કોલકત્તાની ફેમસ આરજી કાર કોલેજની ટ્રેઇની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસમાં કોલકાતા પોલીસે 10 ઓગસ્ટના રોજ સંજય રોયની(sanjayroy) ધરપકડ કરી હતી.સંજય રોયની કોલકાતા આર્મ્ડ પોલીસ બટાલિયનની બેરેકમાંથી ધરપકડ કરવામાં આવી હતી. સંજય રોયને ગુનેગાર ગણવામાં આવ્યો છે. જે અંતરગત સિયાલદહ કોર્ટે ચૂકાદો સંભળાવ્યો છે. સોમવારે સજા જાહેર થશે .