વડા પ્રધાન મોદીએ જે અહિલ્યાબાઈ હોળકર વિશે વાત કરી તેમની વિશે જાણોઃ પોતાના જ દીકરાને આપી હતી મોતની સજા

નવી દિલ્હી: આજે હોળકર વંશના મહારાણી અહિલ્યાબાઈ હોળકરની જન્મજયંતિ છે. એક એવા યુગમાં જ્યાં સતી પ્રથા જેવી કુપ્રથાઓ પ્રચલિત હતી, ત્યારે અહિલ્યાબાઈએ હોળકર વંશની ધુરા સંભાળી. તેમને “લોકમાતા” તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે તેઓ પોતાની પ્રજાને સંતાનથી પણ વધુ પ્રેમ કરતા હતા. તેમના ન્યાય માટે તેઓ એટલા ખ્યાત હતા કે તેમણે પોતાના પુત્રની ભૂલ માટે તેને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. તેમનું સાદગીપૂર્ણ જીવન, ધર્મ, સંસ્કૃતિ અને રાષ્ટ્ર પ્રત્યેનું સમર્પણ એવું હતું કે તેમને “ધ ફિલોસોફર ક્વીન” (The Philosopher Queen) નું બિરુદ મળ્યું હતું. તેઓ પરમ શિવભક્ત હતા. તેમણે મહિલા સશક્તિકરણ માટે પણ તેમણે નોંધપાત્ર કાર્યો કર્યા, જેમાં મહિલાઓને સંપત્તિનો અધિકાર આપવો અને તેમને શસ્ત્રોની તાલીમ આપવાનો સમાવેશ થાય છે.
પિતાના ઘરે શસ્ત્રની તાલીમ લીધી
મહારાણી અહિલ્યાબાઈ હોળકરનો જન્મ 31 મે, 1725 ના રોજ મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના જામખેડ કસબાના ચાંડી ગામમાં થયો હતો. હાલમાં આ જિલ્લાને અહિલ્યાનગર તરીકે ઓળખવામાં આવે છે. તેમના પિતા મનકોજી રાવ શિંદે મરાઠા સેનામાં સૈનિક હતા, જેઓ પાછળથી નાયક બન્યા. તેમની માતા સુશીલાબાઈ પણ ગામના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા હતા.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાબાઈ હોળકર માટે તિજોરી ખોલી, 681 કરોડને ખર્ચે સ્મારક વિકસાવવામાં આવશે
મરાઠા સૈનિકોના પરિવારની મહિલાઓને આત્મરક્ષા માટે થોડું સૈન્ય પ્રશિક્ષણ આપવામાં આવતું હતું. આનું કારણ એ હતું કે જ્યારે ગામના યુવાનો સૈન્ય અભિયાન પર હોય ત્યારે અસામાજિક તત્વો ગામ પર હુમલો કરતા હતા. સરહદી ગામડાંઓને લૂંટવામાં આવતા અને મહિલાઓને પણ નિશાન બનાવવામાં આવતી. આ જ કારણથી, અહિલ્યાબાઈ પોતાની માતા સાથે તીરકામઠું અને ભાલો ચલાવતા શીખી ગયા હતા. માતા સુશીલાબાઈ શિવભક્ત હતા, જેના કારણે અહિલ્યાબાઈ પણ શિવના પરમ ભક્ત બન્યા. તેઓ પૂજા કર્યા વગર પાણી પણ ગ્રહણ કરતા નહોતા. આત્મરક્ષાની સાથે તેમને સારી શિક્ષણ પણ આપવામાં આવ્યું હતું.
મહારાણી અહલ્યાબાઈ હોળકરનો જન્મ એક સામાન્ય ગ્રામીણ સૈનિક પરિવારમાં થયો હતો, છતાં તેઓ આગળ જતાં રાજરાણી અને મહારાણી બન્યા. માત્ર આઠ વર્ષની ઉંમરે, 1733માં, તેમના લગ્ન ઈન્દોરના મહારાજા મલ્હાર રાવ હોળકરના પુત્ર ખાંડેરાવ હોળકર સાથે થયા, જેઓ તેમનાથી બે વર્ષ મોટા હતા. બાળવિવાહ હોવાથી, તેઓ ચાર વર્ષ સુધી તેમના મામાના ઘરે રહ્યા અને 1737માં તેમને સાસરે મોકલવામાં આવ્યા અને ત્યારથી તેઓ એક સામાન્ય સૈનિકની પુત્રીમાંથી રાજવધૂ બન્યા.
નાની ઉંમરે અનેક સ્વજનો ગુમાવ્યા
અહલ્યાબાઈનું અંગત જીવન ઘણા દુઃખોટથી ભરેલું રહ્યું. “અહલ્યાબાઈ હોળકર: બિંદુ સે વિરાટ તક” પુસ્તકમાં રમેશ શર્મા લખે છે કે, તેઓ સ્થિર રહ્યા, ભલે તેમના પર અનેક મુશ્કેલીઓ આવી. માત્ર 29 વર્ષની ઉંમરે તેમણે તેમના પતિ ખાંડેરાવ હોળકરને ગુમાવ્યા. ત્યાર બાદ તેમના સસરા અને સંરક્ષક મલ્હારરાવજીનું નિધન થયું. પછી તેમના પુત્રનું, ત્યારબાદ તેમના પૌત્ર નત્થોનું, અને પછી તેમના જમાઈનું પણ અવસાન થયું. આ બધાથી પણ વધુ કરુણ ઘટના એ હતી કે તેમણે પોતાની પુત્રીને પતિની ચિતા પર સતી થતા પોતાની આંખોથી જોઇ. જોકે, જ્યારે ખાંડેરાવ હોલકરનું નિધન થયું ત્યારે મલ્હારરાવજીએ અહલ્યાબાઈને સતી થતા રોક્યા અને તેમને રાજકાર્ય સાથે જોડ્યા, જે તેમના ભવિષ્યના શાસનનો પાયો બન્યો.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર સરકારે અહિલ્યાબાઈ હોળકર પર ફિલ્મ, ધનગર સમુદાય માટે યોજનાઓની જાહેરાત કરી
પોતાના દીકરા માટે સંભળાવી મોતની સજા
તેમની સાથે જોડાયેલો એક ખાસ પ્રસંગ એ છે કે મલ્હારરાવના અવસાન બાદ તેમના પૌત્ર માલેરાવ માળવાના સૂબેદાર બન્યા. જોકે, તેમનો સ્વભાવ અને આચરણ યોગ્ય નહોતા, જેનાથી અહિલ્યાબાઈ ખૂબ દુઃખી રહેતા. અહિલ્યાબાઈની પૂજા-પાઠ, ગરીબો અને બ્રાહ્મણોને દાન-દક્ષિણા આપવાની પ્રવૃત્તિ માલેરાવને પસંદ નહોતી; તેઓ તેને ધનનો બગાડ માનતા. માલેરાવ પ્રજા પ્રત્યે કઠોર અને નિર્દયી વ્યવહાર કરતા. કહેવાય છે કે તેઓ બ્રાહ્મણોને આપવામાં આવતા અનાજ કે મીઠાઈમાં સાપ-વીંછી મૂકી દેતા, જેથી તેમને ઝેરી જીવજંતુ કરડતા અને તેઓ પીડાથી કણસતા. મહેશ્વરમાં એક નિર્દોષ જડીબુટ્ટી વેચનારની પણ માલેરાવે હત્યા કરાવી દીધી હતી.
એક દિવસ, અહિલ્યાબાઈએ આદેશ આપ્યો કે “માલેરાવને હાથી વડે કચડી નાખવામાં આવે, તે કુળનો કલંક છે.” અધિકારીઓએ તેમના આદેશનું પાલન કર્યું અને માલેરાવને હાથીના પગ નીચે કચડી નાખવામાં આવ્યા. આ ઘટનાથી અહિલ્યાબાઈને ખૂબ મોટો માનસિક આઘાત લાગ્યો. તેઓ એટલા દુઃખી થયા કે બધું છોડીને એકાંતવાસ કરવાનું વિચાર્યું. પરંતુ, તરત જ તેમને પોતાની પ્રજા અને કર્તવ્યનું ભાન થયું. જે રીતે સસરા મલ્હારરાવના કહેવાથી તેમણે સતી થવાનો વિચાર છોડી રાજકાર્ય સંભાળ્યું હતું, તે જ રીતે તેમણે ફરીથી હિંમત એકઠી કરીને પોતાના કર્તવ્યપથ પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનું અભિયાન ચલાવ્યું
મહારાણી અહિલ્યાબાઈ હોળકર, ભલે ઈન્દોરના શાસક હતા, પરંતુ તેમની દ્રષ્ટિ ઘણી વ્યાપક હતી. તેમણે સમગ્ર ભારતમાં સાંસ્કૃતિક પુનરુત્થાનનું અભિયાન ચલાવ્યું. તેમણે દેશભરમાં, બદ્રીનાથ, હરિદ્વાર અને કેદારનાથ જેવા સુદૂર સ્થળોએ ધર્મશાળાઓ અને અન્નક્ષેત્રોથી માંડીને કલકત્તાથી બનારસ સુધીના રસ્તાનું નિર્માણ કરાવ્યું. આ ઉપરાંત, સોમનાથ, અયોધ્યા, મથુરા, દ્વારકા, રામેશ્વર, જગન્નાથ પુરી જેવા એકસો ત્રીસથી વધુ સ્થાનો પર તેમણે મંદિરો અને ધર્મશાળાઓનું નિર્માણ કરાવ્યું. તે આ મહાન શાસિકાએ 13 ઓગસ્ટ, 1795 ના રોજ અંતિમ શ્વાસ લીધા.