
તિરૂવનંતપુરમ, કેરળઃ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં હતા. આ દરમિયાન અનેક લોકોએ દુઃખ વ્યક્ત કર્યું હતું. પરંતુ આ દરમિયાન ફેસબુક પર રાજ્યની એક નર્સ વિશે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કેરળ સરકારના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં નર્સનું મૃત્યુ થયું હતું. આ મામલે પોલીસે જણાવ્યું હતું કે કાસરગોડ જિલ્લાના વેલ્લારીકુંડુ તાલુકા કાર્યાલયમાં ડેપ્યુટી તહસીલદારની જવાબદારી સંભાળતા જુનિયર સુપરિન્ટેન્ડેન્ટ એ. પવિત્રનને નાયર સમુદાયની રંજીતા વિરુદ્ધ જાતીય સતામણી અને જાતિ સંબંધિત ટિપ્પણી કરવાના આરોપસર સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.
પાવિ આનંદાશ્રમ નામના એકાઉન્ટથી કરી હતા ટિપ્પણી
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એ. પવિત્રને ફેસબુક પર ‘પાવિ આનંદાશ્રમ’ નામના એકાઉન્ટ પરથી લખ્યું, ‘પાયલોટ એક ઓટોરિક્ષા ડ્રાઈવરની જેમ કામ કરતો હતો. તેણે એવી જગ્યાએ વિમાન ક્રેશ કર્યું જ્યાં ઘણા ડૉકટરો રહેતા હતા. કેરળની એક મહિલાનું પણ ત્યાં મૃત્યુ થયું. તેને કેરળમાં નોકરી મળી હતી. પરંતુ તેણીએ નોકરીમાંથી રજા લીધી અને વિદેશ ગઈ. આ કારણે, બીજા કોઈને તે પદ માટે તક મળી નહીં. મને કંઈ લાગતું નથી. બધા પ્રત્યે સંવેદના’.
પોલીસે આ મામલે વધારે કહ્યું કે, પોસ્ટ કર્યાના બાદ થોડા જ કલાકમાં આરોપીની ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી પવિત્રન સામે મહિલાનું અપમાન કરવાનો ઈરાદો, જાતિના આધારે વિવિધ જૂથો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવું જેવા ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે અન્ય કલમો હેઠળ પણ પોલીસ દ્વારા ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે.
કોઈના મોત પર અપમાનજનક ટિપ્પણી કરવી કેટલી યોગ્ય?
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અનેક લોકોના મોત થયાં હતા, આમાં રંજીતાનું પણ મૃત્યુ થયું હતું. રંજીતા બે બાળકોની માતા હતી અને બ્રિટનમાં નર્સ તરીકે કામ કરતી હતી. વિદેશમાં થોડો સમય વિતાવ્યા પછી, તે સરકારી સેવાઓમાં જોડાવા અને નોકરી સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરવાની યોજના બનાવવા માટે ફરી એકવાર કેરળ આવી હતી. પરંતુ પવિત્રને તેની પર અપમાનજનક ટિપ્પણી કરી હતી. જેથી આરોપી અધિકારીને સસ્પેન્ડ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો…પ્લેન ક્રેશમાં હોસ્ટેલ બની ગઈ ડિઝાસ્ટર સાઇટ, મેસમાં કામ કરતાં મા દીકરી ગુમ…