
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાની તપાસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે. તપાસ એજન્સીએ જણાવ્યું છે કે આ હુમલાને અંજામ આપનારા ત્રણેય આતંકવાદીઓ પાકિસ્તાનના રહેવાસી હતા અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા હતા. આ ખુલાસો બે કાશ્મીરી નાગરિકો પરવેઝ અહેમદ ઝોથર અને બશીર અહેમદ ઝોથરની ધરપકડ બાદ થયો છે. બંને પર આરોપ છે કે તેમણે હુમલાખોરોને પોતાના ઘરમાં આશ્રય આપ્યો હતો.
મીડિયા અહેવાલ અનુસાર 20 એપ્રિલની રાત્રે ત્રણેય આતંકવાદીઓ આ બંને વ્યક્તિઓના ઘરે પહોંચ્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ જમવાનું માંગ્યું હતું તેમજ પૈસા આપ્યા હતા અને કોઈને ન કહેવાની ધમકી પણ આપી હતી. હુમલા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે જે ત્રણ શંકાસ્પદો એટલે હાશિમ મૂસા, અલી ભાઈ ઉર્ફે તલ્હા અને આદિલ હુસેન ઠોકરના સ્કેચ જાહેર કર્યા હતા તે ખોટા સાબિત થયા છે.
તપાસમાં સામે આવ્યું છે કે અસલી હુમલાખોરોમાંનો એક સુલેમાન શાહ છે, જે ગયા વર્ષે એક સુરંગ પર થયેલા આતંકી હુમલાનો પણ આરોપી છે. આ હુમલામાં સાત મજૂરોના મોત થયા હતા. તેનો એક સહયોગી માર્યો ગયો છે. તેના ફોનમાંથી મળેલી તસવીરોનો NIA એ શંકાસ્પદોની ઓળખ માટે ઉપયોગ કર્યો.
હુમલાના બે દિવસ પહેલા આવ્યા હતા તેમના ઘરે
ઉલ્લેખનીય છે કે NIA અને કેન્દ્રીય એજન્સીઓએ હુમલા પહેલાના દિવસોની ઘણી તસવીરો પરવેઝ અને બશીરને બતાવી. તેમણે ઓળખ કરતા કહ્યું હતું કે હુમલાના બે દિવસ પહેલા આ જ લોકો તેમના ઘરે આવ્યા હતા. અન્ય પ્રત્યક્ષદર્શીઓએ પણ આ તસવીરોમાં દેખાતા આતંકવાદીઓની પુષ્ટિ કરી છે. તે પણ નોંધવું રહ્યું કે કાશ્મીરમાં થયેલા એન્કાઉન્ટરમાં ઠાર કરેલ આતંકવાદી જુનૈદના ફોનમાંથી આ તસવીરો મળી હતી.તપાસ એજન્સીઓ હવે ઓગસ્ટ 2023 માં કુલગામમાં ત્રણ સૈનિકોની હત્યા અને મે 2023 માં પૂંછમાં વાયુસેનાના જવાનની હત્યા જેવા પાછલા હુમલાઓમાં પણ સુલેમાન શાહની સંડોવણીની તપાસ કરી રહી છે.
જાણી જોઈને આશ્રય આપવા બદલ ધરપકડ
NIA એ બંને સ્થાનિક નાગરિકોને ગેરકાયદેસર પ્રવૃત્તિ (નિવારણ) અધિનિયમ (UAPA), 1967 ની કલમ 19 હેઠળ ધરપકડ કરી છે. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, “પરવેઝ અને બશીરે હુમલાખોરોને જાણી જોઈને પોતાને ત્યાં આશ્રય આપ્યો હતો અને તેમને ભોજન, રહેઠાણ અને લોજિસ્ટિક્સ સહાય પૂરી પાડી હતી.” NIA એ તપાસ દરમિયાન પોની ઓપરેટરો, દુકાનદારો, ફોટોગ્રાફરો સહિત 200 થી વધુ લોકોની પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો…પહલગામ હુમલો: આસામમાં ૮૧ ‘દેશવિરોધીઓ’ની ધરપકડ, પાકિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ બદલ કાર્યવાહી