પંજાબમાં ગેંગસ્ટરની માતા અને સાથીદારની ગોળી ધરબી હત્યા…

ચંદીગઢઃ પંજાબના બટાલામાં અજાણ્યા બાઇક સવારોએ જેલમાં બંધ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાની માતા અને તેની સાથે રહેલા અન્ય એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
બટાલાના એક વરિષ્ઠ પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ગુરૂવારે રાત્રે ૯-૩૦ વાગ્યાની આસપાસ બનેલી આ ઘટનામાં હરજીત કૌર ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને અમૃતસરની એક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ ગોળી વાગવાથી તેમનું મોત નીપજ્યું હતું.
બટાલાના નાયબ પોલીસ અધિક્ષક પરમવીર સિંહે જણાવ્યું કે અજાણ્યા બાઇક સવારોએ જ્યારે હરજીત કૌર અને અન્ય એક વ્યક્તિ કરણવીર સિંહ કારમાં સવાર હતા ત્યારે ગોળીબાર કર્યો હતો. ડીએસપીએ જણાવ્યું કે બટાલા સિવિલ હોસ્પિટલમાં કરણવીરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. હુમલાખોરો ઘટનાસ્થળેથી ભાગી ગયા હતા અને તેમને પકડવાના પ્રયાસો ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.
ડીએસપીએ જણાવ્યું કે કેસ નોંધવામાં આવ્યો છે અને હત્યારાઓને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે ઘટના પાછળના હેતુની તપાસ કરી રહ્યા છીએ. બંને પીડિતોના ચહેરા, છાતી અને પેટમાં ગોળી વાગી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. ભગવાનપુરના રહેવાસી હરજીત કૌર પહેલા ગ્રામ પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યા હતા.
માર્ચમાં જેલમાં બંધ ગેંગસ્ટર જગ્ગુ ભગવાનપુરિયાને પીઆઇટી-એનડીપીએસ એક્ટ હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યો હતો અને ભટિંડાની સેન્ટ્રલ જેલમાંથી આસામની સિલચર જેલમાં ખસેડવામાં આવ્યો હતો. ભગવાનપુરિયા ૨૦૨૨ના સિદ્ધુ મૂસેવાલા હત્યા કેસમાં પહેલાથી જ પંજાબ પોલીસની કસ્ટડીમાં છે. આ ઉપરાંત તેની સામે અન્ય કેસ પણ ચાલી રહ્યા છે.