દેશને જોખમમાં મૂકી રહ્યા છે માલદીવના રાષ્ટ્રપતિ, ભારતીય સેનાને પરત કરવી સરળ નથી

માલેઃ 30 સપ્ટેમ્બરના રોજ, ડૉ. મોહમ્મદ મુઇઝુએ માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જંગી જીત મેળવી હતી. માલદીવના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડો.મોહમ્મદ મુઈઝુ ચીનના કટ્ટર સમર્થક છે. સત્તામાં આવતાની સાથે જ તેમણે ભારત વિરોધી એજન્ડા ચલાવવાનું શરૂ કર્યું હતું. સૌથી પહેલા તો તેઓએ ભારતીય સેનાને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે જે તેમના દેશ માટે ખૂબ જ ખતરનાક છે.
માલદીવ એક નાની વસ્તી ધરાવતો ટાપુ દેશ છે, પરંતુ તે વિશાળ દરિયાઈ વિસ્તાર અને ખૂબ જ ઓછી જમીન ધરાવે છે. આ વિશાળ દરિયાઈ વિસ્તારને યોગ્ય રીતે નિયંત્રિત કરવું તેની ક્ષમતાઓથી બહાર છે. ગેરકાયદે માછીમારી અને માદક દ્રવ્યોની હેરાફેરી ઘણી ફૂલીફાલી છે. ભારતીય સેના માલદીવની સુરક્ષામાં ભાગીદાર રહી છે. ભલે મુઇઝુએ ‘ઈન્ડિયા આઉટ’નો નારો આપીને ચૂંટણી જીતી લીધી હોય, પરંતુ દેશની સુરક્ષાને જોખમમાં મૂકવી તેમના માટે આસાન નહીં હોય.
ભારત હંમેશા એક ઉદાર પાડોશી રહ્યું છે. ભારતે કુદરતી આફતોનો સામનો કરવા અને સર્ચ ઓપરેશન માટે માલદીવને એક ડોર્નિયર 228 એરક્રાફ્ટ અને બે એચએએલ ધ્રુવ હેલિકોપ્ટર ભેટમાં આપ્યા છે. આ હેલિકોપ્ટર મેડિકલ ઈવેક્યુએશનમાં પણ મદદ કરે છે. ભારત તેના પાડોશી દેશને સુરક્ષિત રાખવામાં સંપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. ભારત દરિયાઈ સુરક્ષાને લઈને માલદીવને મોટો સહયોગ આપે છે. છેલ્લા પાંચ વર્ષમાં માલદીવ પેટ્રોલિંગ અને દેખરેખ માટે વારંવાર ભારતીય વિમાન અને હેલિકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યું છે. માલદિવનો દરિયાકિનારો સુરક્ષિત રહે એ ભારતના પણ હિતમાં છે.
ભારતીય સેના માછીમારી અને દાણચોરી રોકવામાં પણ મદદ કરે છે. હાલમાં, માલદીવ પાસે વિમાન ચલાવવા માટે પૂરતા કર્મચારીઓ નથી. ભારતીય પાઇલોટ્સ અને જાળવણી કામદારોના અભાવથી તેમની વિમાની સેવા કથળી જશે. માલદીવના દરિયા કિનારાની સુરક્ષા માટે ભારતની મદદથી વાસ્તવિક ડેટા શેરિંગની ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવે છે. શોધ અને બચાવ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા SAR એરક્રાફ્ટ પણ માલદીવની સેનાને મદદ કરે છે. ભારતીય સેનાએ માલદીવની સેનાને પણ તૈયાર કરી છે જેથી તે રિયલ ટાઈમ ઓપરેશન કરી શકે. ભારત માલદીવને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બંદરોના નિર્માણમાં પણ મદદ કરી રહ્યું છે. કુદરતી આફત સમયે ભારતીય સેના હંમેશા માલદીવની વહારે આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત અને માલદીવના સંબંધો ઘણા સુધર્યા હતા.
ચૂંટણી પહેલા મુઈઝુએ જાહેરાત કરી હતી કે માલદીવની વિદેશ નીતિ ‘માલદીવ તરફી’ હશે. તેમણે વચન આપ્યું હતું કે તેઓ ભારતીય સૈન્યને માલદીવમાંથી હાંકી કાઢશે. તેમના ‘ઈન્ડિયા-આઉટ’ સૂત્રએ મતદાતાઓને અપીલ કરી અને તેઓ ચૂંટણી જીતી ગયા, પરંતુ તેમના માટે ભારતીય સુરક્ષાથી દૂર રહેવું મુશ્કેલ હશે. આવા સંજોગોમાં મુઇઝુ ભારત સાથે સુરક્ષા વ્યવસ્થા જાળવવાનું ચાલુ રાખી શકે છે.