
નવી દિલ્હી: ગત મહીને ભારત અને પાકિસ્તાન વચ્ચે થયેલા લશ્કરી તણાવ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સે સ્પષ્ટપણે ભારતને સમર્થન આપ્યું ન હતું, રાષ્ટ્રપતિ ટ્રમ્પે બંને દેશો સાથે મિત્રતાની વાત કરતા શાંતિ માટે અપીલ કરી હતી. હાલમાં યુએસ સેન્ટ્રલ કમાન્ડના વડાએ પાકિસ્તાનને મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું હતું.
એવામાં એવી અટકળો વહેતી થઇ હતી કે યુએસ આર્મ્ડ ફોર્સિઝ પરેડમાં પાકિસ્તાન આર્મીના વડા અસીમ મુનીરને આમંત્રણ આપવામાં (Asif Munir Invited in US Parade) આવ્યું હતું, જેને કારણે ભારતીયોમાં રોષ ફેલાયો હતો. અમેરિકન સરકારે આ અંગે સ્પષ્ટતા કરી છે.
આપણ વાંચો: અમેરિકાના આર્મી દિવસ પર પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ અસીમ મુનીરને આમંત્રણ
વ્હાઇટ હાઉસે અટકળોનો અંત લાવ્યો:
વ્હાઇટ હાઉસના અધિકારીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર કે અન્ય કોઈ પણ દેશના લશ્કરી નેતાઓને યુએસ આર્મ્ડ ફોર્સિઝની 250મી એનિવર્સરીનીમાં આમંત્રણ આપવામાં આવ્યું નથી.
વ્હાઇટ હાઉસના એક અધિકારીએ એક મીડિયા આઉટલેટ્સને જણાવ્યું “આ ખોટું છે. કોઈ વિદેશી લશ્કરી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું નથી.” આ સાથે જ વ્હાઇટ હાઉસે તમામ અટકળોનો અંત લાવ્યો છે.
શું દાવો કરવામાં આવ્યો હતો?
એવ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આસિફ મુનીર તેમની યુએસ વિઝીટ દરમિયાન પેન્ટાગોન અને વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને મળશે.
સંરક્ષણ ક્ષેત્રના વિશ્લેષક ડેરેક ગ્રોસમેને X પર પોસ્ટ કરી કરી હતી. તેમણે લખ્યું, “ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા પાકિસ્તાની ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને આમંત્રણ આપવું એ એક કટ્ટર ભારત વિરોધી આતંકવાદીને આમંત્રણ આપવા સમાન છે, જે ભારત માટે મોટો ડિપ્લોમેટિક સેટબેક છે”
આસિફ મુનીરે તાજેતરમાં આપ્યા હતાં આવા નિવેદનો:
તાજેતરમાં આસિફ મુનીરે ભારત વિરોધી નિવેદનો આપ્યા હતાં. એક નિવેદનમાં તેમને કાશ્મીરને પાકિસ્તાન માટે “ગળાની નસ” ગણાવી હતી. તેમણે બે રાષ્ટ્ર સિદ્ધાંતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, “આપણા ધર્મો અલગ છે, આપણા રિવાજો અલગ છે, આપણી પરંપરાઓ અલગ છે, આપણા વિચારો અલગ છે, આપણી મહત્વાકાંક્ષાઓ અલગ છે… આપણે બે રાષ્ટ્રો છીએ, આપણે એક રાષ્ટ્ર નથી.”