ટોપ ન્યૂઝનેશનલ

યોગ એ માત્ર કસરત નથી, જીવન જીવવાની એક રીત છે; વિશાખાપટ્ટનમમાં પીએમ મોદીનું સભાને સંબોધન…

વિશાખાપટ્ટનમઃ આજે 21 જૂન એટલે કે 11મો વિશ્વ યોગ દિવસ છે. જેની દેશ-વિદેશમાં ઉજવણી થઈ રહી છે. આ વર્ષે ખાસ કાર્યક્રમ ‘યોગ સંગમ’ હેઠળ લોકો સવારે 6:30 થી 7:45 વાગ્યા સુધી દેશભરમાં એક લાખથી વધુ સ્થળોએ સામાન્ય યોગ પ્રોટોકોલ અનુસાર સામૂહિક રીતે યોગ કરી રહ્યા છે. વિશ્વભરના કુલ 191 દેશોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં રાષ્ટ્રીય યોગ કાર્યક્રમનું નેતૃત્વ કરી રહ્યા છે.

11 વર્ષમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક વૈશ્વિક આયોજન બની ગયું
મહત્વની વાત એ છે કે, સરકાર દ્વારા કુલ 10 લાખ કાર્યક્રમોનું એલાન કરવામાં આવ્યું છે. જેના કારણે યોગને દરેક ઘર સુધી પહોંચાડવામાં આવશે. 11 વર્ષમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એક વૈશ્વિક આયોજન બની ગયું છે. વિશ્વભરમાં યોગ દિવસની ઉજવણીઓ કરવામાં આવી રહી છે. વિશ્વને યોગ સાથે જોડવામાં ભારતે ખૂબ જ મહત્વની ભૂમિકા નિભાવી છે. અત્યારે વિશ્વના મોટા ભાગના દેશોમાં યોગ હવે દૈનિક દિનચર્યાનો ભાગ બની ગયો છે. જે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ જરૂર છે. યોગ આપણાં શરીર અને સ્વાસ્થ્ય માટે અતિમહત્વપૂર્ણ છે તે વાત ભારતે વિશ્વને શિખવાડી છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર પીએમ મોદીએ વિશાખાપટ્ટનમાં યોગ કર્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર વિશાખાપટ્ટનમમાં હાજરી આપી છે. આ દરમિયાન તેમણે લોકોને સંબોધન પણ કર્યું. સભાને સંબોધિત કરતા વડા પ્રધાન મોદીએ કહ્યું કે, હું છેલ્લા એક દશકથી જ્યારે યોગની યાત્રાને જોવું છું તો ઘણું બધુ યાદ આવે છે. જે દિવસે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે માન્યતા આપવાનો પ્રસ્તાવ મૂક્યો અને પછી સૌથી ઓછા સમયમાં વિશ્વના 175 દેશો અમારા પ્રસ્તાવ સાથે ઉભા રહ્યા હતાં’.

યોગ વિશ્વભરના લાખો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયોઃ પીએમ મોદી
નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું કે, ‘અત્યારેની જમાનામાં આવું સમર્થન મળવું એ સામાન્ય ઘટના નથી. આ માત્ર એક પ્રસ્તાવને સમર્થન નહોતું. આ તો માનવતાના ઉદ્ધાર માટે માટે વિશ્વનો સામૂહિક પ્રયાસ હતો. આજે 11 વર્ષ પછી આપણે જોઈ રહ્યા છીએ કે યોગ વિશ્વભરના લાખો લોકોની જીવનશૈલીનો એક ભાગ બની ગયો છે. મને ગર્વ થાય છે જ્યારે હું જોઉં છું કે આપણા દિવ્યાંગ મિત્રો યોગ શાસ્ત્રોનો અભ્યાસ કરે છે. વૈજ્ઞાનિકો અવકાશમાં યોગ કરે છે’.

ભારતીય સંસ્કૃતિ આપણને सर्वे भवंतु सुखिनः શીખવે છેઃ પીએમ મોદી
વિશાખાપટ્ટનમમાં સભાને સંબોધિત કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે વ્યક્તિ પોતાના હિતથી વધારે સમાજનો વિચાર કરે છે. ત્યારે જ આખી તેમાં આખી માનવ જાતનું હિત હોય છે. ભારતીય સંસ્કૃતિ આપણને શીખવે છે – सर्वे भवंतु सुखिनः જેનો અર્થ છે કે દરેકનું કલ્યાણ એ મારું કર્તવ્ય છે. હું થી આપણે સુધીની યાત્રા સેવા, સમર્પણ અને સહઅસ્તિત્વનો આધાર છે. દુર્ભાગ્યવશ, આજે આખું વિશ્વ કોઈક પ્રકારના તણાવમાંથી પસાર થઈ રહ્યું છે. ઘણા ક્ષેત્રોમાં અશાંતિ અને અસ્થિરતા વધી રહી છે. આવી સ્થિતિમાં, યોગ આપણને શાંતિની દિશા આપે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button