ઇન્ડિગો એરલાઈન્સની કટોકટીનો અંત! આટલી ફ્લાઈટ્સ ફરી શરુ, CEO આપ્યું મોટું નિવેદન

ગુરુગ્રામ: ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ભારતની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગોનું ફ્લાઈટ ઓપરેશન ખોરવાઈ ગયું હતું, દરરોજ સંખ્યાબંધ ફ્લાઈટ્સ કેન્સલ થતા લાખો મુસાફરોને હાલાકીમાંથી પસાર થયા હતાં. આજે ગુરુવારે ઇન્ડિગોના CEO પીટર એલ્બર્સે જાહેરાત કરી છે કે 2,200 ફ્લાઇટ્સના નેટવર્કને ફરી સંપૂર્ણ રીતે કાર્યરત કરી દેવામાં આવ્યું છે.
ઇન્ડિગો એરલાઇનના કર્મચારીઓને સંબોધીને શેર કરવામાં આવેલા એક વિડિઓમાં CEO પીટર એલ્બર્સે કહ્યું કે “આપણે તોફાનોમાંથી પસાર થયા, આપણને આપણી પાંખો મળી ગઈ.”
એરલાઈનના કર્મચારીઓનો આભાર માનતા એલ્બર્સે કહ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયા પડકારજનક રહ્યા પરંતુ કર્મચારીઓના સામૂહિક પ્રયત્નને કારણે એરલાઈન કટોકટીમાંથી બહાર આવી શકી.
કામગીરી પૂર્વવત કરવામાં મદદ કરવા બદલ એલ્બર્સે ઈન્ડિગોના પાઇલટ્સ, ઓપરેટિંગ કંટ્રોલ સેન્ટર અને કસ્ટમર સર્વિસ સ્ટાફ સહિત તમામ કર્મચારીઓનો આભાર માન્યો. તેમણે કહ્યું કે આ સમય દરમિયાન, કર્મચારીઓએ એકબીજાને ટેકો આપ્યો.
ત્રણ મિનિટ લાંબા વિડીયોમાં એલ્બર્સે જણાવ્યું કે એરલાઇન હવે સ્થિતિ પૂર્વવત કરવા, કટોકટીના મૂળ કારણનું વિશ્લેષણ અને પુનર્નિર્માણ જેવી ત્રણ બાબતો પર ધ્યાન આપશે, જેથી આવી સમસ્યા ફરી ના સર્જાય.
એલ્બર્સે કર્મચારીઓને વિનંતી કરી કે તાજેતરની કટોકટીને કારણે એરલાઇનના વારસા અને પ્રતિષ્ઠાને નુકશાન ન થવા દેવામાં આવે. એલ્બર્સે કહ્યું, “19 વર્ષ પહેલાં 2006 માં આપણે માત્ર એક વિમાનથી શરૂઆત કરી હતી… આજે, ઇન્ડિગો 65,000 થી વધુ કર્મચારીઓ છે અને આ 19 વર્ષોમાં, 85 કરોડથી વધુ ગ્રાહકો અમારી આપણી સાથે ઉડાન ભરી હતી.”
આપણ વાંચો: ગુજરાતના માત્ર 87 કિમીના ભાગને કારણે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે વિલંબિત! 4 વર્ષ બાદ પણ કામ અધૂરું



