‘દર 10 મિનિટે વિસ્ફોટ, જીવ જોખમમાં!’ ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓની આપવીતી

તેહરાન: ઇઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધને કારણે ઈરાનમાં રહેતા ભારતીયોની સલામતી અંગે ચિંતા ઉભી થઇ છે. તેહરાન સહિત ઘણા શહેરોમાં સ્થિતિ વધુને વધુ ખરાબ થઈ રહી છે. વિદ્યાર્થીઓ સહિત હજારો ભારતીયો ઈરાનમાં ફસાયા (Indian in war torn Iran) છે. ઈરાનમાં અભ્યાસ કરતા કેટલાક ભારતીય વિદ્યાર્થીઓ પરિસ્થિતિ વર્ણવી છે. ભારતીય વિદ્યાર્થીઓના જણવ્યા મુજબ વિસ્ફોટો અને ઇમારતો ધરાશાયી થવાના અવાજો સતત સંભળાય રહ્યા છે, જેને કારણે તેઓ ગભરાયેલા છે. વિદ્યાર્થીઓએ ભારત સરકારને મદદ માટે વિનંતી કરી છે.
યુદ્ધની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેહરાન સ્થિત ભારતીય દુતાવાસ સક્રિય થઇ ગયું છે, દૂતાવાસે જોખમ વાળા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ સહીત ભારતીયોને સલામત સ્થળોએ ખસેડ્યા છે, પરંતુ હજુ પણ લોકોમાં ભય છે.
આ પણ વાંચો: ઈરાનમાં ફસાયેલા ભારતીયો માટે સરકારે કંટ્રોલ રૂમ શરૂ કર્યો, હેલ્પલાઈન નંબરો જાહેર…
10 મિનિટે વિસ્ફોટો:
ઈરાનમાં MBBSનો અભ્યાસ કરવા ગયેલા એક ભારતીય વિદ્યાર્થીએ એક હિન્દી ન્યુઝ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, દર 10 મિનિટે વિસ્ફોટો સંભળાય છે. સતત એર સ્ટ્રાઈક અને ઇમારતો ધરાશાયી થવાના અવાજો સંભળાય રહ્યા છે, લોકો સતત ભયના વાતવરણમાં જીવી રહ્યા છે. ખાસ કરીને તેહરાનમાં પરિસ્થિતિ ગંભીર છે.
વિદ્યાર્થીએ ન્યુઝ ચેનલને જણાવ્યું કે તેમને 16 જૂનની સાંજે 7-8 વાગ્યે કુંભ શહેરમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ એ વિસ્તાર પણ સંપૂર્ણપણે સલામત નથી.
આ પણ વાંચો: યુદ્ધગ્રસ્ત ઈરાનમાં ભારતીયો સલામતી અંગે ચિંતા; દૂતાવાસે નાગરીકોને સલામત સ્થળે ખસેડ્યા…
જમીન માર્ગે ઈરાન છોડવા સલાહ:
ઈરાનનું એર સ્પેસ બંધ હોવાને કારણે એર ટ્રાવેલ શક્ય નથી અને વિદ્યાર્થીઓને અઝરબૈજાન, તુર્કમેનિસ્તાન અથવા અફઘાનિસ્તાન થઈને રોડ માર્ગે દેશ છોડવાની સલાહ આપવામાં આવી છે. જોકે, આ સંદર્ભમાં ભારતીય દૂતાવાસ તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ સૂચના મળી નથી.
ઈરાનના પશ્ચિમ પ્રાંતમાં સ્થિત ઉર્મિયા યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થીઓને આર્મેનિયા બોર્ડર મારફતે બહાર કાઢવામાં આવ્યા છે, અને તેઓ જલ્દી દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. પરંતુ તેહરાન અને અન્ય શહેરોમાં ફસાયેલા વિદ્યાર્થીઓ માટે હજુ સુધી આવી કોઈ વ્યવસ્થા થઇ શકી નથી.