નેશનલ

લોકો પાયલટના આરામ પર રેલવેએ કાપ મુક્યો; અકસ્માતનું જોખમ વધશે? યુનિયને વિરોધ નોંધાવ્યો

નવી દિલ્હી: રેલ્વે મંત્રાલયે ટ્રેન ક્રૂ મેમ્બર્સ માટે આઉટસ્ટેશન રેસ્ટ રૂલ્સ (Outstation rest rules)માં ફેરફારની જાહેરાત કરી છે. વિવિધ રેલ્વે ઝોન અને ડિવિઝનમાં અલગ અલગ નિયમોને દુર કરીને, દેશભરમાં એક જેવા જ નિયમો લાગુ કરવાના હેતુથી આ ફેરફારો કરવામાં આવ્યા છે. જોકે, ઓલ ઈન્ડિયા લોકો રનિંગ સ્ટાફ એસોસિએશન (AILRSA) એ આ ફેરફારોનો વિરોધ કર્યો છે. એસોસિએશને રેલ્વે બોર્ડને લખેલા પત્રમાં નવા નિયમોને ગેરકાયદેસર ગણાવ્યા છે અને દાવો કરવામાં કર્યો કે આ નિયમ મંત્રાલયના અગાઉના આદેશોનું ઉલ્લંઘન કરે છે.

નવા રેસ્ટ રૂલ્સ:
ભારતીય રેલ્વેના આદેશ મુજબ હવે આઠ કલાક ફરજ પર રહેલા કર્મચારીઓને આઠ કલાક આરામ આપવામાં આવશે, પાંચથી આઠ કલાક ફરજ પર રહેલા કર્મચારીઓને છ કલાક આરામ આપવામાં આવશે, અને પાંચ કલાક કે તેથી ઓછા સમય માટે ફરજ પર રહેલા કર્મચારીઓને ફરજના સમયગાળા કરતાં એક કલાક વધુ આરામ આપવામાં આવશે. મંત્રાલયે સેન્ટર ફોર રેલ્વે ઇન્ફોર્મેશન સિસ્ટમ(CRIS)ને ક્રૂ મેનેજમેન્ટ સિસ્ટમ(CMS) માં અન્ય તમામ પ્રકારના આરામ નિયમને અમાન્ય ગણવાનો નિર્દેશ આપ્યો.

રેલવે મંત્રાલએ 3 જૂનના રોજ CRIS ના જનરલ મેનેજરોને સંબોધિને એક પરિપત્ર જાહેર કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય રેલવેમાં રનિંગ સ્ટાફ માટે છ પ્રકારના આઉટસ્ટેશન રેસ્ટ રૂલ્સ છે. આ બાબતની તપાસ કર્યા પછી, હાલના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, ત્રણ પ્રકારના રેસ્ટ રૂલ્સ નક્કી કરવામાં આવ્યા છે.

નિયમોમાં ફેરફારોનો વિરોધ:
નિયમોમાં ફેરફાર સામે વિરોધ નોંધાવતા AILRSA એ કહ્યું કે આ આદેશ રેલ કામગીરીની સલામતીને ગંભીર અસર કરશે, કારણ કે આ ફેરફાર 2016 માં મંત્રાલય દ્વારા રચાયેલી હાઇ પાવર કમિટીના આર્સ ઓફ એમ્પ્લોયમેન્ટ રૂલ્સનું ઉલ્લંઘન છે. AILRSA એ મંત્રાલયને આ આદેશ પાછો ખેંચવાની માંગ કરી છે.

AILRSAના એક પદાધિકારીએ જણાવ્યું હતું કે સમિતિએ સ્વીકાર્યું હતું કે આઠ કલાકથી ઓછો આરામ અપૂરતો છે, કારણ કે રનિંગ સ્ટાફ લોબીથી રનિંગ રૂમમાં જવા, વ્યક્તિગત સ્વચ્છતા, ખોરાક તૈયાર કરવા અને ખોરાક ખાવા જેવા કામમાં ઘણો સમય લાગે છે. આમ, રનિંગ સ્ટાફને માટે આરામ/ઊંઘ માટે ખરેખર 8 કલાક કરતા ઘણો ઓછો સમય હોય છે, જ્યારે માણસને ઓછામાં ઓછી 8 કલાક ઊંઘની લઘુત્તમ જરૂરિયાત હોય છે.

આ પણ વાંચો -‏‏‎ મોદી સરકારના 11 વર્ષ થયા પૂર્ણઃ પડકારો છતાં વધુ મજબૂત થઈ સરકાર

કર્મચારીઓ પણ પહેલા માણસ છે:
યુનિયનના પદાધિકારીએ કહ્યું “જો લોકોપાઇલટને આઉટગોઇંગ ટ્રીપ કરતા પહેલા પૂરતો આરામ નહીં મળે, તો તેના કારણે તેના એલર્ટનેસ લેવલ પર અસર પડી શકે છે. રેલ્વેની સલામતીના હિતને ધ્યાનમાં રાખીને આ આદેશ પાછો લેવો જોઈએ. ઉપરાંત,માનવતાવાદી ધોરણે આ આદેશ યોગ્ય નથી કારણ કે ટ્રેનના કર્મચારીઓ પણ પહેલા માણસ છે અને પછી રેલ્વેના કર્મચારીઓ છે.”

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button