ભારતીય રેલવેમાં 100 વર્ષ બાદ થશે મોટો ફેરફાર, બ્લૂપ્રિન્ટ તૈયાર…

નવી દિલ્હીઃ ભારતીય રેલવે લાખો લોકોના રોજિંદા જીવનનો એક ભાગ છે. દૈનિક સેંકડોની સંખ્યામાં મુસાફરો એક શહેરથી બીજા શહેર જવા રેલવેનો ઉપયોગ કરે છે. ભારતીય રેલવેને દેશની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થાની કરોડરજ્જુ માનવામાં આવે છે. પરિચાલન કાર્યક્ષમતા અને સુરક્ષામાં સુધારો કરી શકાય તે હેતુથી ભારતીય રેલ નેટવર્ક તેની 100 વર્ષથી વધુ જૂની ટ્રેન નિયંત્રણ પ્રણાલીઓમાં ફેરફાર અને અપગ્રેડેશનની તૈયારી કરી રહ્યું છે.
આધુનિક અપગ્રેડેશન પછી ટ્રેનોની ગતિ વધશે અને સુરક્ષા પણ મજબૂત થશે તેમ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર, રેલવે બોર્ડ રેલ ટ્રાફિક સુધારવા, સુરક્ષા વધારવા અને પરિચાલન કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે એડવાન્સ ડિસિઝન સપોર્ટ ટેકનિક પર આધારિત એક નવી બ્લूપ્રિન્ટ તૈયાર કરવામાં વ્યસ્ત છે.
તાજેતરના દિવસોમાં ટ્રેનો મોડી પડવી, વધતી ભીડ અને દુર્ઘટનાઓને કારણે અનેક સવાલો ઉભા થઈ રહ્યા હતા. આ દરમિયાન, રેલવે આયોજિત ઓવરહોલિંગ પર વિચાર કરવા જઈ રહ્યું છે. રેલવે અનુસાર, આનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રેન યાત્રાને વધુ સુરક્ષિત, આધુનિક ટેકનોલોજી સાથે સ્પીડ વધારી શકાય અને યાત્રીઓને સુવિધા મળી શકે તેવો છે.
રિપોર્ટ્સમાં જણાવવામાં આવ્યું કે નવી પ્રણાલીનું કેન્દ્ર એક કમાન્ડ સેન્ટર હશે. જેમાં ટ્રેન સંચાલનમાં સામેલ તમામ વિભાગોને એકસાથે આવરી લાવશે. જે ટ્રેન મૂવમેન્ટ મેનેજમેન્ટ, રૂટ પ્લાનિંગ અને મોટા પાયે મેન્યુઅલ નિયંત્રણ પદ્ધતિને બદલી નાખશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય રેલવે બોર્ડ જાપાન, રશિયા, જર્મની, સ્વિટ્ઝર્લેન્ડ, ફ્રાન્સ અને સ્પેન જેવા દેશોમાં આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાંથી પાઠ શીખશે.