
નવી દિલ્હી : ભારતે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દ્વારા આતંકવાદનો જડબાતોડ જવાબ આપ્યો છે. જ્યારે ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂરની મહત્વની વિગતો આપતા જણાવ્યું હતું કે ભારતે એક સાથે ત્રણ દેશને હરાવ્યા છે. ભારતીય સેનાના ડેપ્યુટી ચીફ ઓફ આર્મી સ્ટાફ લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે શુક્રવારે નવી દિલ્હીમાં ફિક્કી દ્વારા આયોજિત ‘ન્યુ એજ મિલિટરી ટેક્નોલોજીસ’ કાર્યક્રમમાં ભારત-પાકિસ્તાન સરહદ તણાવ અને ઓપરેશન સિંદૂર દરમિયાનના પડકારો પર વાત કરી હતી. તેમણે કહ્યું કે આ ઓપરેશનમાં માત્ર પાકિસ્તાન જ નહીં, પરંતુ ચીન અને તુર્કીયેએ પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના કારણે ભારતને તેની એર ડિફેન્સ સિસ્ટમ વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત અનુભવાઈ છે.
પાકિસ્તાન પાસે 81 ટકા લશ્કરી સાધનો ચીની હતા
આ અંગે લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે ખુલાસો કર્યો કે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાનને ચીન પાસેથી રીઅલ-ટાઇમ ગુપ્ત માહિતી મળી રહી હતી. તેમણે કહ્યું, જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ) સ્તરની વાટાઘાટો ચાલી રહી હતી. ત્યારે પાકિસ્તાનને અમારી મહત્વપૂર્ણ લશ્કરી પ્રવૃત્તિઓની લાઈવ માહિતી મળી રહી હતી. આ માહિતી ચીન તરફથી આવી રહી હતી. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન પાસે 81 ટકા લશ્કરી સાધનો ચીની છે. આ ઓપરેશનથી ચીનને તેના શસ્ત્રોનું પરીક્ષણ કરવાની ‘લાઈવ લેબ’ જેવી તક મળી હતી.
તુર્કીયેએ યુદ્ધ દરમિયાન બાયક્તાર જેવા ડ્રોન પૂરા પાડ્યા
જ્યારે લેફ્ટનન્ટ જનરલ રાહુલ આર સિંહે કહ્યું છે કે તુર્કીયેએ પાકિસ્તાનને ડ્રોન અને અન્ય સહાય પણ પૂરી પાડી હતી. લેફ્ટનન્ટ જનરલ સિંહે કહ્યું- તુર્કીયેએ યુદ્ધ દરમિયાન બાયક્તાર જેવા ડ્રોન પૂરા પાડ્યા હતા અને લોકોને તાલીમ આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત હવે ત્રણ મોરચા પાકિસ્તાન, ચીન અને તુર્કીયે સાથે એકસાથે વ્યવહાર કરવાનો પડકારનો સામનો કરી રહ્યું છે.
વ્યૂહાત્મક પગલું ભારતની લશ્કરી તાકાતનો પરચો
આ ઉપરાંત લેફ્ટનન્ટ જનરલ રાહુલ સિંહે કહ્યું કે ઓપરેશન સિંદૂરમાં ભારતીય સેનાએ એટલી સચોટ અને અસરકારક કાર્યવાહી કરી કે પાકિસ્તાનને યુદ્ધવિરામ માંગવાની ફરજ પડી. તેમણે કહ્યું અમારી પાસે બીજો મોટો હુમલો તૈયાર હતો. પાકિસ્તાનને ખ્યાલ આવ્યો કે જો આ હુમલો થશે તો તેમની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ જશે. તેથી તેમણે યુદ્ધવિરામની અપીલ કરી.આ વ્યૂહાત્મક પગલું ભારતની લશ્કરી તાકાત અને રાજદ્વારી પરિપક્વતા દર્શાવે છે.