નેશનલ

સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારત ટૂંક સમયમાં બનશે આત્મનિર્ભર: અમિત શાહ

ગ્વાલિયરમાં ₹2 લાખ કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કર્યું

ગ્વાલિયર: સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં ભારતનો પ્રવેશ થોડો મોડો હોવા છતાં મજબૂત છે અને તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે રાષ્ટ્ર ટૂંક સમયમાં આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનશે અને નિકાસ શરૂ કરશે, એમ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે જણાવ્યું હતું.

મધ્ય પ્રદેશનું ભૌગોલિક સ્થાન એટલું આકર્ષક છે અને તેની જમીન એટલી ફળદ્રુપ છે કે રાજ્યમાં થોડી રકમનું રોકાણ કરીને પણ કરોડો રૂપિયા કમાઈ શકાય છે. અભ્યુદય મધ્યપ્રદેશ ગ્રોથ સમિટ’ને સંબોધતા તેમણે કહ્યું કે અમે સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં મજબૂત પ્રવેશ કર્યો છે, જોકે થોડા સમયમાં, અમે સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં આત્મનિર્ભર જ નહીં, પરંતુ તેની નિકાસ પણ શરૂ કરીશું.

આ પ્રસંગે, એમણે ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહાર વાજપેયીની ૧૦૧મી જન્મજયંતિ નિમિત્તે બે લાખ કરોડ રૂપિયાના ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. વાજપેયીજીને યાદ કરતાં તેમણે કહ્યું કે, “અટલજી એક મહાન વક્તા, સંવેદનશીલ કવિ, જન કલ્યાણ માટે સમર્પિત નેતા હતા અને રાજકારણમાં ‘અજાતશત્રુ’ રહ્યા. શાહે પંડિત મદન મોહન માલવિયાને તેમની જન્મજયંતિ પર અને સી રાજગોપાલાચારીને તેમની પુણ્યજયંતિ પર શ્રદ્ધાંજલિ પણ આપી હતી.

આ પ્રસંગે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવ, કેન્દ્રીય સંદેશાવ્યવહાર પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા, વિધાનસભા અધ્યક્ષ નરેન્દ્ર સિંહ તોમર અને અન્ય ઘણા નેતાઓ હાજર રહ્યા હતા. એમણે પ્રાદેશિક રોકાણ પરિષદોનું આયોજન કરવા બદલ મુખ્ય પ્રધાન યાદવની પ્રશંસા કરી હતી અને કહ્યું કે જ્યારે કોઈ રાજ્ય પ્રાદેશિક સંતુલન સાથે વિકાસ કરે છે, ત્યારે જનતા અને રોકાણકારોને સૌથી વધુ ફાયદો થાય છે.

તેમણે કહ્યું કે, “જ્યારે પ્રાદેશિક લાક્ષણિકતાઓ ધરાવતા ઉદ્યોગોનો વિકાસ થાય છે, ત્યારે તે ટકાઉ અને સફળ થાય છે. આ નવો વિચાર મધ્યપ્રદેશ માટે શુભ રહે. જેમણે રોકાણ કર્યું છે તેમને શુભકામનાઓ. ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન યોજાયેલી “વાઇબ્રન્ટ ગુજરાત” રોકાણકાર સમિટનો ઉલ્લેખ કરતા શાહે કહ્યું કે તેમણે રાજ્યની રાજધાનીમાં આવા કાર્યક્રમોની વ્યવસ્થિત અને વૈજ્ઞાનિક પહેલ શરૂ કરી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button