અમેરિકા સાથે વેપાર સમજૂતી પર ભારતનું કડક વલણ, વિદેશ મંત્રી જયશંકરે ‘રેડ લાઈન્સ’ સ્પષ્ટ કરી…

ભારત અને અમેરિકા વચ્ચે ટેરિફને લઈ ભારે તણાવ ચાલી રહ્યો છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ અને બીજો વધારોનો 25 ટકા ટેરિફ દંડ તરીકે લાદ્યો છે. એટલેકે ભારતને કોઈ પણ વસ્તુ એક્સપોર્ટ કરવા માટે અમેરિકાને 50 ટકા ટેરિફ ચૂકવવો પડશે.
જ્યારે આ વેપાર ડિલને લઈ ઘણા લોકોને સમજૂતીની આશા હતી. જેના પર હવે વિદેશ મંત્રી એસ. જયશંકરે સ્પષ્ટતા આપી દીધી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત અને અમેરિકા વચ્ચેના પ્રસ્તાવિત વેપાર સમજૂતીમાં ભારતની કેટલીક ‘રેડ લાઈન્સ’ છે, અને ખેડૂતો તથા નાના ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરવા માટે સરકાર કોઈ સમજૂતી નહીં કરે.
એક કાર્યક્રમમાં જયશંકરે ભારત-અમેરિકા સંબંધોમાં વેપાર અને ટેરિફ, રૂસથી ખનિજ તેલની ખરીદી, અને પાકિસ્તાનના મુદ્દે વૉશિંગ્ટનની દખલગીરીને ત્રણ મોટી સમસ્યા ગણાવી હતી. તેમણે અમેરિકાના વારંવારના સવાલો પર તંજ કસતાં કહ્યું કે, યુરોપિયન યુનિયન અને ચીન રૂસના સૌથી મોટા આયાતકાર હોવા છતાં, અમેરિકા ભારતને રૂસથી તેલ ખરીદવા પર સવાલ ઉઠાવે છે.
તેમણે કહ્યું, “જો તમને ભારતથી તેલ કે રિફાઈન્ડ ઉત્પાદનો ખરીદવામાં સમસ્યા હોય, તો ન ખરીદો, પરંતુ અમેરિકા અને યુરોપ બંને આયાત કરે છે.”
જયશંકરે સ્પષ્ટ કર્યું કે રૂસથી ખનિજ તેલની ખરીદી ભારતના રાષ્ટ્રીય હિતો અને વૈશ્વિક તેલ બજારની સ્થિરતા માટે જરૂરી છે. આ નિર્ણય ભારતની રણનીતિક સ્વાયત્તતાનો ભાગ છે, અને તે દેશનો અધિકાર છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ ખરીદી વૈશ્વિક બજારની સ્થિતિને સંતુલિત રાખવા અને ભારતની ઊર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવે છે, જેમાં કોઈ બાંધછોડ નહીં થાય.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પાકિસ્તાન સાથેના વિવાદમાં મધ્યસ્થીના દાવા પર જયશંકરે સખત વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે 1970ના દાયકાથી ભારતમાં આ મુદ્દે રાષ્ટ્રીય સર્વસંમતિ છે કે ભારત કોઈપણ પ્રકારની મધ્યસ્થી સ્વીકારશે નહીં.
તેમણે ટ્રમ્પની શૈલીને પરંપરાગત અમેરિકી રાષ્ટ્રપતિઓથી અલગ ગણાવી અને જણાવ્યું કે તેમનો વિશ્વ સાથે વ્યવહારનો અભિગમ સમગ્ર વિશ્વ માટે પડકારરૂપ છે. જયશંકરે ભારતની સ્પષ્ટ નીતિ અને સ્વાયત્ત નિર્ણયો પર ભાર મૂક્યો.
આ પણ વાંચો…પુતિનના ભારત પ્રવાસ પૂર્વે વિદેશ પ્રધાન એસ. જયશંકર રશિયા જશે