
નવી દિલ્હી: દેશના મોટા શહેરોમાં વધતા જતા વાયુ પ્રદૂષણને રોકવા માટે કેન્દ્ર સરકાર યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. તાજેતરમાં સોમવારે, 2 ફેબ્રુઆરીએ લોકસભામાં રજૂ કરાયેલા આંકડાઓ મુજબ, શહેરી વિસ્તારોમાં હવાની ગુણવત્તા સુધારવા માટે મોટા પાયે ભંડોળ જાહેર કરવામાં આવ્યું છે. કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પ્રદૂષણ ઘટાડવા માટે ‘નેશનલ ક્લીન એર પ્રોગ્રામ’ (NCAP) અંતર્ગત અનેક મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે, જેના હકારાત્મક પરિણામો પણ હવે જોવા મળી રહ્યા છે.
કેન્દ્રીય રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે સંસદમાં માહિતી આપી હતી કે શહેરી સ્થાનિક સંસ્થાઓએ રસ્તા પરની ધૂળને નિયંત્રિત કરવા માટે અત્યાર સુધીમાં ₹7,094.39 કરોડનો જંગી ખર્ચ કર્યો છે. કુલ 130 શહેરો NCAPના દાયરામાં આવે છે, જેમાંથી 48 મોટા શહેરોને ‘મિલિયન-પ્લસ સિટીઝ ચેલેન્જ ફંડ’ દ્વારા આર્થિક મદદ મળે છે, જ્યારે બાકીના 82 શહેરોને MoEFCC ની પ્રદૂષણ નિયંત્રણ યોજના હેઠળ ભંડોળ ફાળવવામાં આવ્યું છે. NCAP હેઠળ કુલ ₹13,852.22 કરોડની ગ્રાન્ટ રિલીઝ કરવામાં આવી છે, જેનો મોટો હિસ્સો રોડ ડસ્ટ મેનેજમેન્ટમાં વપરાયો છે.
શિવસેનાના સાંસદો એકનાથ શિંદે અને રવિન્દ્ર વાયકર દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે, વિવિધ શહેરોમાં કરાયેલા અભ્યાસ (Source Apportionment Studies) મુજબ પ્રદૂષણમાં રસ્તાની ધૂળનો હિસ્સો 20% થી 60% જેટલો હોય છે. આ જ કારણ છે કે ‘સિટી એક્શન પ્લાન’માં મિકેનિકલ સ્વીપિંગ (મશીનથી સફાઈ), પાણીનો છંટકાવ અને બાંધકામ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. મુંબઈ, પુણે, થાણે અને રાયગઢ જેવા વ્યસ્ત વિસ્તારોમાં ધૂળને ઉડતી રોકવા માટે નવી ટેકનોલોજી અને વિશેષ મટીરિયલનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા ડેટા મુજબ, વર્ષ 2017-18ની સરખામણીમાં 2024-25માં દેશના 103 શહેરોમાં PM10 ના સ્તરમાં સુધારો થયો છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે 22 શહેરોએ રાષ્ટ્રીય ધોરણો (NAAQS) હાંસલ કરી લીધા છે, જ્યાં PM10ની માત્રા 60 µg/m3 થી ઓછી નોંધાઈ છે. જોકે, સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરમેન્ટ (CSE) જેવા સંગઠનોનું માનવું છે કે માત્ર ધૂળ જ નહીં, પરંતુ વાહનો અને ઉદ્યોગોના ધુમાડા (Combustion Sources) પર પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે.
નેશનલ ક્લીન એર પ્રોગ્રામ (NCAP) ની શરૂઆત 10 જાન્યુઆરી 2019 ના રોજ કરવામાં આવી હતી. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય વાયુ પ્રદૂષણ અટકાવવા અને તેના પર નિયંત્રણ લાવવાનો છે. આ યોજના હેઠળ રસ્તાની સફાઈ ઉપરાંત, કચરો બાળવા પર પ્રતિબંધ, જૂના વાહનોના પ્રદૂષણમાં ઘટાડો અને ઔદ્યોગિક એકમોમાં ફિલ્ટર્સ લગાવવા જેવી બાબતો પર કામ કરવામાં આવે છે. સરકારની આ રણનીતિને કારણે અનેક પ્રદૂષિત શહેરો હવે ‘ક્લીન એર’ના લક્ષ્યાંકની નજીક પહોંચી રહ્યા છે.



