INDIA PM Face: અમને PM નક્કી કરતા 48 કલાકનો સમય પણ નહીં લાગે

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન 1લી જૂને છે અને ત્યારબાદ દોઢ મહિનાથી ચાલતા આ જંગમાં કોણ વિજયી બનશે તે ચોથી જૂને નક્કી થશે. જો NDA વિજયી બને તો Narendra Modi જ તેમનો વડા પ્રધાનનો ચહેરો રહેશે તે સૌ કોઈ જાણે છે, પરંતુ 26 જેટલી પાર્ટીના ગઠબંધન એવા Indian National Development Inclusive Alliance (INDIA) માં કોણ વડા પ્રધાન બનશે તે વિચારવા જેવી વાત છે. આ મામલે ભાજપ તેમની રમૂજ પણ કરે છે અને ટીકા પણ કરે છે. ત્યારે કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જયરામ રમેશે આ મામલે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા જણાવ્યું હતું કે ઈન્ડિયા જનબંધન ચોકક્સ 272 કરતા ઘણી વધારે બેઠકો પર વિજય મેળવશે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે એનડીએના અમુક પક્ષો પણ પરિણામ બાદ અમારી સાથે જોડાશે.
વડા પ્રધાનના ચહેરા મામલે જયરામ રમેશે કહ્યું કે અમે પરિણામના 48 કલાકમાં વડા પ્રધાનનું નામ જાહેર કરી દેશું. તેમણે આમ પણ જણાવ્યું કે જે પક્ષ સૌથી વધારે બેઠકો પર વિજયી બને તે સ્વાભાવિક રીતે પોતાનો દાવો કરી શકશે. રમેશે 2004નો દાખલો આપતા જણાવ્યું હતું કે સોનિયા ગાંધીએ વડા પ્રધાનપદ પર બેસવાની ના પાડતા ત્રીજા જ દિવસે અમે ડો. મનમોહન સિંહના નામની જાહેરાત કરી દીધી હતી. આ વખતે અમને બે દિવસ પણ નહીં લાગે.
આ પણ વાંચો : ખડગેની જીભ લપસી જતા ‘મોદી-શાહના ગેમ પ્લાન’નો પર્દાફાશ થયો! જયરામ રમેશનો ભાજપ પર પલટવાર
નીતિશ કુમારના પક્ષ જેડીયુને પાછો ગઠબંધનમાં લેવા અંગે તેમણે જણાવ્યું કે તેઓ પલટી કુમાર છે અને ગમે ત્યારે ગમે ત્યાં જાય છે જ્યારે અન્ય પક્ષો માટે પક્ષશ્રેષ્ઠીઓ નિર્ણય લેશે તેમ તેમણે જણાવ્યું હતું.
પોતે ચોથી જૂન પછી શું કરશે તેનું મંથન કરવા મોદી વિવેકાનંદ રૉક ખાતે ધ્યાન ધરવા જઈ રહ્યા છે તેવો ટોણો પણ તેમણે માર્યો હતો.