અરબી સમુદ્રમાં ભારત-પાકિસ્તાન નૌકાદળની કવાયત હાથ ધરાશે, નોટામ જારી | મુંબઈ સમાચાર

અરબી સમુદ્રમાં ભારત-પાકિસ્તાન નૌકાદળની કવાયત હાથ ધરાશે, નોટામ જારી

ગુજરાતમાં પોરબંદર, ઓખા ખાતે આવતીકાલે બે દિવસ મૅરિટાઇમ ડ્રિલ્સ

નવી દિલ્હી: પહલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં અનેક અવરોધો વચ્ચે તાજેતરમાં સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. બંને દેશના નૌકાદળ આમનેસામને યુદ્ધ અભ્યાસ કરશે. અરબી સમુદ્રમાં ભારત અને પાકિસ્તાન દ્વારા 11 અને 12 ઑગસ્ટે એકબીજાની જળસીમાની નજીક અલગ-અલગ કવાયત યોજાવાની છે.

બન્ને પાડોશી દુશ્મન દેશના નૌકાદળ અંદાજે 60 દરિયાઇ માઇલના અંતરે કવાયત કરવાના છે. તેઓએ અરબી સમુદ્રમાં નૌકાદળની આ કવાયતને લગતા જુદા-જુદા જાહેરનામા બહાર પાડ્યા હતા, એમ સત્તાવાર જણાવાયું છે.

આ પણ વાંચો: INS વિક્રાંત સહિત 36 યુદ્ધ જહાજો કરાચી પર ત્રાટકવા તૈયાર હતાં; ઇન્ડિયન નેવીનો અભૂતપૂર્વ જમાવડો

ભારતીય નૌકાદળ ગુજરાતના પોરબંદર અને ઓખાના દરિયાકિનારા પાસે 11 અને 12 ઑગસ્ટે મૅરિટાઇમ ડ્રિલ્સ યોજશે. બન્ને દેશના નૌકાદળની આ લશ્કરી કવાયત રાબેતા મુજબની હોવાનો દાવો કરાય છે. આ અંગે પાકિસ્તાન નૌકાદળે પણ પોતાની જળસીમામાં અભ્યાસ કરવા માટે એરમેન નોટિસ (નોટામ) પણ જારી કરવામાં આવ્યું છે. ભારતીય નૌકાદળ પોરબંદર અને ઓખાના દરિયાકિનારે કરશે, જ્યારે પાકિસ્તાનનો દરિયાઈ અભ્યાસ અહીંથી 60 નોટિકલ માઈલના અંતરે થશે. આ બંને દેશ વચ્ચેના દરિયાઈ અભ્યાસ અંગે મીડિયામાં પણ સૌનું ધ્યાન ખેંચાયું છે.

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ત્રાસવાદીઓએ 22 એપ્રિલે 26 નિર્દોષ લોકોની કરેલી હત્યા અને તે પછી ભારતે ઑપરેશન સિંદૂર હેઠળ હાથ ધરેલી લશ્કરી કાર્યવાહીને લીધે ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી ઘણી જ વધી ગઇ છે. ભારતના લશ્કર, હવાઇદળ અને નૌકાદળે સંયુક્ત રીતે પાકિસ્તાનમાંના જૈશે મહંમદ અને લશ્કરે તૈયબાની છાવણીઓનો નાશ કર્યો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button