પાકિસ્તાનમાં થયેલા હુમલામાં ભારતનો હાથ નહિ, વિદેશ મંત્રાલયે કહ્યું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ

નવી દિલ્હી : પાકિસ્તાનમાં શનિવારે થયેલા આત્મઘાતી હુમલામાં 13 સૈનિકો માર્યા ગયા હતા. જેની માટે પાકિસ્તાને ભારતને જવાબદાર ઠેરવ્યું છે. ત્યારે ભારતે પણ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. આ અંગે વિદેશ મંત્રાલયે આ આરોપની નિંદા કરી અને કહ્યું, અમે પાકિસ્તાની સેનાનું એક સત્તાવાર નિવેદન જોયું છે. જેમાં વઝીરિસ્તાનમાં થયેલા હુમલા માટે ભારતને દોષી ઠેરવવામાં આવ્યું છે. અમે પાકિસ્તાનના અવમાનના સમાન નિવેદનને સંપૂર્ણ નકારીએ છીએ. આ પાકિસ્તાનનો ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે.
13 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા
ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઉત્તર વઝીરિસ્તાન જિલ્લામાં શનિવારે એક આત્મઘાતી હુમલાખોરે વિસ્ફોટકોથી ભરેલું વાહન લશ્કરી કાફલા સાથે અથડાવ્યું. આ વિસ્ફોટમાં 13 સૈનિકો માર્યા ગયા અને 10 ઘાયલ થયા હતા. આ ઉપરાંત 19 નાગરિકો ઘાયલ થયા છે.
આતંકવાદી સંગઠને હુમલાની જવાબદારી લીધી
સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે ચાલુ લશ્કરી પ્રવૃત્તિને કારણે ઘટના સમયે વિસ્તારમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓએ બચાવ કામગીરી શરૂ કરી હતી. તેમણે કહ્યું કે હાફિઝ ગુલ બહાદુર ગ્રુપના પેટા જૂથ, આતંકવાદી જૂથ ઉસુદ અલ-હર્બે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે.
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રીએ આ હુમલાની નિંદા કરી
ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી અલી અમીન ગંદાપુરે આ આત્મઘાતી હુમલાની સખત નિંદા કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું, દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનારા બહાદુર સુરક્ષા કર્મચારીઓ અને તેમના પરિવારોને અમે સલામ કરીએ છીએ. આ ઘટનાને તાજેતરના મહિનાઓમાં ઉત્તર વઝીરિસ્તાનમાં થયેલી સૌથી ઘાતક ઘટનાઓમાંની એક તરીકે વર્ણવવામાં આવી રહી છે. આ ઘટનાએ વઝીરિસ્તાન ક્ષેત્રમાં સુરક્ષા પરિસ્થિતિ અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે.
આ પણ વાંચો…પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલામાં 13 સૈનિક માર્યા ગયા