ભારત કરી શકે છે મિસાઈલ પરીક્ષણ, બંગાળની ખાડીમાં નોટમ જાહેર કરાયું…

નવી દિલ્હી : કેન્દ્ર સરકાર દ્વારા સતત દેશની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેમાં મિસાઈલ અને સ્વદેશી શસ્ત્રોનું સફળ પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભારત એક અન્ય મિસાઇલનું પરીક્ષણ કરી શકે છે. જેની માટે સરકારે 22 થી 24 ડિસેમ્બર સુધી વિશાખાપટ્ટનમ કિનારા નજીક બંગાળની ખાડીમાં એક નોટમ જાહેર કર્યો છે.
22 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી નોટમ અમલમાં
આ અંગે મળતી માહિતી મુજબ ભારતે બંગાળની ખાડીમાં વિશાખાપટ્ટનમ કિનારા નજીકના નિયુક્ત વિસ્તાર માટે નોટમ જાહેર કર્યું છે. આ સૂચના 22 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. જેમાં સૂચિત પરીક્ષણ ક્ષેત્રની અંદાજિત રેન્જ આશરે 3,240 કિલોમીટર હોવાનું જાણવા મળ્યું છે.
સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી
બંગાળની ખાડીમાં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા નોટમને જોતાં એવી શક્યતા છે કે આ સમયગાળા દરમિયાન કોઈ મહત્વપૂર્ણ મિસાઇલનું પરીક્ષણ થઈ શકે છે. આ પ્રવૃત્તિ સમુદ્ર આધારિત મિસાઇલ પરીક્ષણ સાથે સંબંધિત હોઈ શકે છે. જો કે, કોઈ મિસાઇલ સિસ્ટમ અથવા પ્લેટફોર્મની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.
નાગરિક અને લશ્કરી ઉડ્ડયનની સલામતી સુનિશ્ચિત કરવાનો હેતુ
નોટમ એટલે એરમેનને સૂચના આપવામાં આવે છે. જે યુદ્ધના સમય, અસામાન્ય પરિસ્થિતિ અથવા યુદ્ધ અભ્યાસ દરમિયાન જાહેર કરાયેલ એક પ્રકારની નોટિસ છે. નોટમનો હેતુ નિર્ધારિત સમય અને વિસ્તારમાં નાગરિક અને લશ્કરી ઉડ્ડયનની સલામતી સુનિશ્ચિત કરવાનો છે. આવી સૂચનાઓ સામાન્ય રીતે મિસાઇલ પરીક્ષણો, રોકેટ લોન્ચ અથવા અન્ય વ્યૂહાત્મક લશ્કરી પ્રવૃત્તિઓ દરમિયાન હવાઈ અને દરિયાઈ ટ્રાફિકને અગાઉથી માહિતી પૂરી પાડવા માટે જાહેર કરવામાં આવે છે.
છેલ્લા કેટલાક સમયથી, ડીઆરડીઓ સતત લાંબા અંતરની બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો વિકસાવી રહ્યું છે. ભારતે મિસાઇલ ક્ષેત્રમાં પ્રગતિ કરી છે. તેમજ હાલના સમયમાં મિસાઇલો કોઈપણ દેશ માટે લશ્કરી શક્તિ અને ક્ષમતાનું મુખ્ય પ્રતીક છે.



