
નવી દિલ્હી: ઇઝરાયલ-ઈરાનના યુદ્ધનો આજે દસમો દિવસ છે. યુદ્ધના કારણે આ બંને દેશોમાં રહેલા ભારતીયોનો દેશમાં પાછા લાવવા માટે ભારત સરકાર દ્વારા ‘ઑપરેશન સિંધુ’ શરૂ કરવામાં આવ્યું છે. આ ઑપરેશન હેઠળ અત્યારસુધી આ 827 ભારતીય નાગરિકોની ઘરવાપસી કરાવવામાં આવી છે. ઈરાનથી પાછા ફરી રહેલા ભારતીયોએ જોયેલી યુદ્ધની પરિસ્થિતિ ઘણી ભયાવહ છે. એવું તેમની વાતો પરથી સમજી શકાય છે.
ઈરાનમાં પરિસ્થિતિ સારી નથી
ઈરાનમાં કેવી પરિસ્થિતિ છે? એ અંગે ઈરાનથી આવેલા કેટલાક ભારતીય નાગરિકોએ મીડિયા સાથે પોતાના અનુભવો શેર કર્યા છે. ફરજાના આબ્દીએ મીડિયાને જણાવ્યું કે, “અમે ઈરાનથી પાછા આવ્યા છીએ. ત્યા યુદ્ધ થયું, મિસાઈલ છોડવામાં આવી. ભારતીય દૂતાવાસે અમારી ઘણી મદદ કરી અને પાછા લાવ્યા. ભારત પરત ફરીને અમે ખૂબ ખુશ છીએ. ભારત દુનિયાનો સૌથી સારો દેશ છે.”

ઈરાનથી પરત આવનાર નદીમ અસગરે જણાવ્યું કે, “હું મારા દેશનો આભારી છું, જેણે અમને ત્યાં સુરક્ષિત રાખ્યા અને સુરક્ષિત રીતે પાછા લાવ્યા. જેવી પરિસ્થિતિ વણસી, દૂતાવાસે અમને ત્યાંથી બહાર કાઢી લીધા. હું ભારત સરકારનો ઘણો આભારી છું.”
રિયાજુલ હસને મીડિયાને જણાવ્યું કે, “ઈરાનમાં પરિસ્થિતિ સારી નથી. અમે હોટલની બારીમાંથી મિસાઈલનો આવતી જોઈ હતી. આ મિસાઈલોને હવામાં જ રોકી દેવામાં આવી હતી. અમને દેશમાં પરત ફરીને રાહત મળી છે. અમે દૂતાવાસના માધ્યમથી આવ્યા છીએ. અમે પીએમ મોદીનો આભાર વ્યક્ત કરીએ છીએ.” ઑપરેશન સિંધુ હેઠળ ઈરાનથી આવેલ ફાતિમાએ જણાવ્યું કે, “હું વડા પ્રધાન મોદીની આભારી છું. હવે હું દેશમાં આવીને શાંતિનો અનુભવ કરી રહી છું. પોતાના વતનમાં પરત ફરવું એ ખૂબ આનંદની વાત છે.”
ભારતીય દૂતાવાસે ઘણી મદદ કરી
ઈરાનથી આવેલી દાનિયાએ જણાવ્યું કે, “હું ખૂબ ખુશ છું. ઈરાનમાં અમે બહું ગભરાયેલા હતા. તહેરાનની સ્થિતિ ઘણી ભયાવહ હતી. ભારતીય દૂતાવાસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરૂ છું. જેઓના કારણે અમે અહિયા સલામત રીતે આવી શક્યા.”
ઉલ્લેખનીય છે કે, ઑપરેશન સિંધુ હેઠળ પાછા લાવેલા નાગરિકોને સારી હોટલમાં રોકાણ કરાવવામાં આવ્યું હતું. તેઓને સમયસર લંચ, ડિનર વગેરે આપવામાં આવતું હતું. આ રીતે ભારતીય દૂતાવાસે ઘણી મદદ કરી છે. એવું ઈરાનથી પરત ફરેલા અલમાસ રિજવીએ જણાવ્યું હતું.