“તુર્કિએ એરલાઇન્સ સાથે વિમાન લીઝ કરાર સમાપ્ત કરો” ઇન્ડિગોને ભારત સરકારનો નિર્દેશ

નવી દિલ્હી: ભારત સરકારે દેશની સૌથી મોટી ખાનગી એરલાઇન ઇન્ડિગોને તુર્કિએ એરલાઇન્સ (Turkish Airlines) સાથેના તેના વિમાન લીઝ કરારને સમાપ્ત કરવાનો નિર્દેશ આપ્યો છે. ભારત અને તુર્કી વચ્ચે વધી રહેલા રાજદ્વારી તણાવના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને, “ઓપરેશન સિંદૂર” (Operation Sindoor) દરમિયાન તુર્કીએ ખુલ્લેઆમ પાકિસ્તાનને સમર્થન આપ્યું હતું, જેના પગલે ભારત આ કડક પગલાં લઈ રહ્યું છે.
ઇન્ડિગોને ત્રણ મહિનાનું અલ્ટિમેટમ
નાગરિક ઉડ્ડયન મહાનિદેશાલય (DGCA) એ ઇન્ડિગોને તુર્કિએ એરલાઇન્સ પાસેથી લીઝ પર લીધેલા બે બોઇંગ 777-300ER વિમાનો માટેના ‘વેટ લીઝ કરાર’ (Wet Lease Agreement) ને ફક્ત ત્રણ મહિના માટે જ લંબાવવાની મંજૂરી આપી છે. જોકે, આ મંજૂરી સાથે એક સ્પષ્ટ શરત મૂકવામાં આવી છે કે આ ત્રણ મહિનાની અવધિ પછી ઇન્ડિગો આ કરારને સમાપ્ત કરી દેશે અને ભવિષ્યમાં તેના માટે કોઈ વધુ વિસ્તરણની માંગ કરશે નહીં.
એર લાઇન્સને ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉડાનમાં અચાનક વિક્ષેપ ટાળવા અને યાત્રીઓને અસુવિધા ન થાય તે માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે. આ લીઝ કરાર 31 મે, 2025 ના રોજ સમાપ્ત થઈ રહ્યો હતો. ‘ડેમ્પ લીઝ’ (Damp Lease) હેઠળ, તુર્કિશ એરલાઇન્સ વિમાન, પાઇલટ અને જાળવણીની સુવિધા પૂરી પાડી રહી હતી, જ્યારે ક્રૂના અન્ય સભ્યો ઇન્ડિગોના હતા. સૂત્રોએ જણાવ્યું કે DGCA એ બંને વિમાનોનો લીઝ સમય ત્રણ મહિના વધારીને 31 ઓગસ્ટ, 2025 સુધી કરી દીધો છે, જ્યારે એરલાઇને છ મહિનાના વિસ્તરણની વિનંતી કરી હતી.
શું છે લીઝ કરાર?
ઇન્ડિગોએ 2023 માં તુર્કિએ એરલાઇન્સ સાથે એક વેટ લીઝ કરાર શરૂ કર્યો હતો, જેના હેઠળ તુર્કિએ એરલાઇન્સે બે બોઇંગ 777 વિમાનો, પાઇલટ અને કેટલાક ક્રૂ મેમ્બર્સ સાથે ઇન્ડિગોને ઉપલબ્ધ કરાવ્યા હતા. આ વિમાનોનો ઉપયોગ દિલ્હી અને મુંબઈથી ઇસ્તંબુલ વચ્ચેની ઉડાન માટે કરવામાં આવી રહ્યો હતો. દરેક વિમાનમાં 500 થી વધુ સીટો છે, જે ઇન્ડિગોને લાંબા અંતરની આંતરરાષ્ટ્રીય ઉડાન ક્ષમતા વધારવામાં મદદ કરતું હતું. આ કરાર ઇન્ડિગોને મોટા મૂડી રોકાણ વિના લાંબા અંતરની ઉડાનોમાં વિસ્તરણ કરવામાં સક્ષમ બનાવતો હતો, કારણ કે તુર્કિએ એરલાઇન્સ વિમાનોની જાળવણી, વીમો અને પાઇલટ પૂરા પાડતી હતી, જ્યારે ઇન્ડિગો તેના કેબિન ક્રૂ અને ગ્રાઉન્ડ ઓપરેશન્સનું સંચાલન કરતું હતું.