ભારત અને 6 આરબ દેશ વચ્ચે થશે મુક્ત વેપાર કરાર: અર્થતંત્રને મળશે નવી ગતિ

નવી દિલ્હીઃ ભારતે પહેલા યુરોપિયન યુનિયન સાથે મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા અને પછી અમેરિકા સાથે વેપાર કરારને અંતિમ સ્વરૂપ આપ્યું. હવે વધુ એક સારા સમાચાર મળી રહ્યા છે. ભારત અને ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (જીસીસી)ના છ આરબ સભ્ય દેશ વેપાર કરારની વાટાઘાટો માટેની શરતો પર સહમત થયા છે. ભવિષ્યમાં ભારત બીજા આર્થિક પાવરહાઉસ સાથે મુક્ત વેપાર કરાર કરે તેવી શક્યતા વધી ગઈ છે.
ભારત અને છ દેશોની ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલએ પ્રસ્તાવિત મુક્ત વેપાર કરાર (એફટીએ) માટે ઔપચારિક રીતે વાટાઘાટો શરૂ કરવા માટે ટર્મ્સ ઓફ રેફરન્સ (ટીઓઆર) પર હસ્તાક્ષર કર્યા, જેનો હેતુ બંને પ્રદેશો વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોને મજબૂત બનાવવાનો છે.
આપણ વાચો: આવતીકાલે ભારત ઓમાન વચ્ચેનાં મુક્ત વેપાર કરાર પર સહીસિક્કા થશે…
આ પ્રસ્તાવિક વેપાર કરારની પદ્ધતિઓની રૂપરેખા જણાવવામાં આવી છે. પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જીસીસી બ્લોક સાથે ટીઓઆર પર હસ્તાક્ષર સમારોહની અધ્યક્ષતા કરી હતી. જીસીસીમાં સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, કુવૈત, ઓમાન અને બહેરીનનો સમાવેશ થાય છે.
ગોયલે કહ્યું હતું કે પ્રસ્તાવિત કરાર બંને પક્ષો વચ્ચે દ્વિપક્ષીય વેપાર અને રોકાણમાં નોંધપાત્ર વધારો કરશે તેવી અપેક્ષા છે. બંને વેપાર ભાગીદારો 5,000 વર્ષથી વધુ સમયથી એકબીજા સાથે વેપાર કરી રહ્યા છે. લગભગ 10 મિલિયન ભારતીયો હાલમાં જીસીસી દેશોમાં રહે છે અને કામ કરે છે..
આપણ વાચો: ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે મુક્ત વેપાર કરાર પર ચર્ચા અંતિમ તબક્કામાં
આ સૌથી યોગ્ય સમય છે કે આપણે હવે વધુ મજબૂત વેપાર વ્યવસ્થામાં પ્રવેશ કરીએ જે માલ, સેવાઓના વધુ મુક્ત પ્રવાહને સક્ષમ બનાવશે, નીતિમાં પૂર્વ અનુમાન અને સ્થિરતા લાવશે, વધુ રોકાણોને પ્રોત્સાહિત કરવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે આ કરાર બંને પ્રદેશો માટે ખાદ્ય અને ઉર્જા સુરક્ષાને પણ મજબૂત બનાવશે. જ્યારે ભારત વિશ્વના મુખ્ય અનાજ ઉત્પાદકોમાંનું એક છે જ્યારે જીસીસી દેશો તેલ અને ગેસના મુખ્ય નિકાસકારો છે.
ગોયલે કહ્યું હતું કે “આપણી પાસે પહેલેથી જ ખૂબ જ મજબૂત, લગભગ 179 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય વેપાર છે. મારું માનવું છે કે જીસીસી દેશો દ્વારા જરૂરી સંખ્યાબંધ ઉત્પાદનો અને સેવાઓ આપણા યુવાન, ખૂબ જ પ્રતિભાશાળી અને કુશળ ભારતીયો દ્વારા પૂરી પાડવામાં આવી શકે છે, કારણ કે જીસીસી દેશો આપણને આપણા ઉર્જા સ્ત્રોતોના વધુ વૈવિધ્યકરણ અને વિકાસમાં મદદ કરી શકે છે.”
તેમણે ઉમેર્યું કે પ્રસ્તાવિત કરાર ડ્યુટી અને નોન-ટેરિફ અવરોધોને દૂર કરીને ભારતીય નિકાસને મદદ કરશે. તેમણે કહ્યું કે ભારતની માહિતી અને સંચાર ટેકનોલોજી કંપનીઓને પણ જીસીસીના બજારમાં વિસ્તરવાની તકો મળશે. ગોયલે કહ્યું કે ભારતે તાજેતરના વર્ષોમાં 38 વિકસિત દેશોને આવરી લેતા નવ વેપાર કરાર કર્યા છે.



