ઇન્ડિગો એરલાઈન્સ વિરુદ્ધ ડીજીસીએ એકશન મોડમાં, ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કર્યો…

નવી દિલ્હી : દેશમાં ઓપરેશનલ ઇસ્યુનો સામનો કરી રહેલી ઇન્ડિગો એરલાઈન્સની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમાં હવે આ મુદ્દે ડીજીસીએ એક્શન મોડમાં આવ્યું છે .તેમજ તાત્કાલિક અસરથી ડીજીસીએ ઇન્ડિગોને ફ્લાઈટ ઓપરેશનમાં 5 ટકાનો ઘટાડો કરવા નિદેશ આપ્યો છે. જેમાં લીધે દરરોજની 2200 ફલાઈટ ઓપરેટ કરતી ઇન્ડિગોના ફ્લાઈટ ઓપરેશનના 110 ફ્લાઈટનો ઘટાડો થશે. આ ઉપરાંત એરલાઇનને 10 ડિસેમ્બર સુધીમાં સુધારેલું સમયપત્રક આપવા જણાવાયું છે.
નવેમ્બરમાં એરલાઇનની 951 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી
આ અંગે ડીજીસીએ ઇન્ડિગોને નોટીસ આપી છે તેમાં જણાવાયું છે કે નવેમ્બર 2025 માટે શિયાળાના સમયપત્રક હેઠળ એરલાઇનને દર અઠવાડિયે 15,014 પ્રસ્થાન અને કુલ 64,346 ફ્લાઇટ્સ માટે મંજૂરી આપવામાં આવી હતી. જોકે, ઓપરેશનલ ડેટા દર્શાવે છે કે ઇન્ડિગોએ ફક્ત 59,438 ફ્લાઇટ્સનું સંચાલન કર્યું હતું. નવેમ્બરમાં એરલાઇનની 951 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.

સિંગલ ફ્લાઇટ્ને બંધ નહી કરવા નિર્દેશ
ડીજીસીએ તેના આદેશમાં જણાવ્યું હતું કે, એરલાઇનને તેની શિડયુલ ફલાઈટમાં 5 ટકા ઘટાડો કરવાનો નિર્દેશ આપવામાં આવે છે. જે રૂટ પર ઓછી માગ અને વધુ ફ્લાઈટ હોય ત્યાં તેનો અમલ કરવો. તેમજ ઇન્ડિગોએ કોઈપણ રૂટ પર ચાલતી સિંગલ ફ્લાઇટ્ને બંધ નહી કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
એરલાઈન્સને મુસાફરને હેરાન કરવાની મંજુરી નહી અપાય
આ દરમિયાન નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ લોકસભામાં મંગળવારે કહ્યું કે કોઈ પણ એરલાઈન્સને મુસાફરને હેરાન કરવાની મંજુરી નહી અપાય. તેમણે વધુમાં જણાવ્યું કે ડીજીસીએ ઇન્ડિગોના સીનીયર મેનેજમેન્ટને શો-કોઝ નોટીસ ફટકારી છે. તેમજ તેની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે. તેનો અહેવાલ આવ્યા બાદ કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઇન્ડિગોની સ્થિતીમાં ધીરે ધીરે સુધાર
નાગરિક ઉડ્ડયન મંત્રીએ વધુમાં જણાવ્યું કે, ઇન્ડિગોની સ્થિતીમાં ધીરે ધીરે સુધાર આવી રહ્યો છે. આ ઉપરાંત અન્ય એરલાઈન્સ યોગ્ય રીતે ચાલી રહી છે. દેશભરના એરપોર્ટ સ્થિતી સામાન્ય છે. કોઈ જગ્યા ભીડ અથવા તો મુશ્કેલી નથી. તેમજ રિફંડ, બેગેજ અને યાત્રી સુવિધા મુદ્દે મંત્રાલય સતત મોનીટરીંગ કરી રહ્યું છે.
ઇન્ડિગો કટોકટી પર લોકસભામાં બોલતા, મંત્રીએ કહ્યું કે ફ્લાઇટ કામગીરી ઝડપથી સામાન્ય થઈ રહી છે. ઇન્ડિગોને જવાબદાર ઠેરવવામાં આવી રહી છે. ભારતના ઉડ્ડયન ક્ષેત્રને વધુ મુસાફર-કેન્દ્રિત બનાવવા માટે લાંબા ગાળાના પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો…ઈન્ડિગો કટોકટી મામલે સરકારની કાર્યવાહી, બીજી એરલાયન્સને મળશે ફ્લાઈટ સ્લોટ
745 કરોડ રૂપિયાનું રિફંડ
ઉલ્લેખનીય છે કે, ઈન્ડિગોમાં 1લી ડિસેમ્બરથી 8મી ડિસેમ્બરની વચ્ચે હજારો મુસાફરોને ફ્લાઇટ રદ્દ થવા, લાંબો સમય રાહ જોવી પડવી અને સામાન પહોંચાડવામાં વિલંબ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. સરકારે આ સમયગાળા દરમિયાન રદ્દ થયેલા 730655 PNRs માટે મુસાફરોને કુલ 745 કરોડ રૂપિયાનું રિફંડ ચૂકવી દીધું હોવાનું જણાવ્યું છે. વળી, એરલાઈન પાસે ફસાયેલા લગભગ 9000 બેગમાંથી 6000 બેગ મુસાફરોને પહોંચાડવામાં આવી છે, અને બાકીના બેગ મંગળવાર સુધીમાં પહોંચાડવાનો લક્ષ્યાંક છે.
એરલાઈનના રોકાણકારોને પણ મોટું નુકસાન
આ ગંભીર પરિસ્થિતિના કારણે માત્ર મુસાફરો જ નહીં, પરંતુ એરલાઈનના રોકાણકારોને પણ મોટું નુકસાન થયું છે. ન્યૂઝ એજન્સીના એક અહેવાલ મુજબ, આ સંકટને કારણે છેલ્લા સાત દિવસમાં ઈન્ડિગોના શેર માં લગભગ 17 ટકા નો જંગી ઘટાડો નોંધાયો છે, જેના પરિણામે તેની બજાર કિંમતમાં 4.3 અબજ ડોલરનો ઘટાડો થયો છે. આમાં સોમવારે શેરની કિંમતમાં થયેલો 8.3 ટકા નો ઘટાડો પણ સામેલ છે.



