દેશના 15 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણને શપથ લીધા, જગદીપ ધનખડે પણ હાજરી આપી | મુંબઈ સમાચાર
Top Newsનેશનલ

દેશના 15 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણને શપથ લીધા, જગદીપ ધનખડે પણ હાજરી આપી

નવી દિલ્હી : દેશના 15 માં ઉપરાષ્ટ્રપતિ તરીકે સી.પી. રાધાકૃષ્ણનનો આજે  શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  સી.પી. રાધાકૃષ્ણનને શપથ લેવડાવ્યા હતા. આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા અનેક રાજકીય નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા.

ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરે પણ હાજરી આપી

ઉપરાષ્ટ્રપતિ પદ માટે સીપી રાધાકૃષ્ણનના શપથ ગ્રહણ સમારોહમાં ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ હાજરી આપી હતી. આ શપથ ગ્રહણ સમારોહ દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના તમામ પ્રધાનો હાજર રહ્યા હતા.

C.P. Radhakrishnan sworn in as the 15th Vice President of the country, Jagdeep Dhankhar also attended

અનેક નેતાઓ પણ હાજર રહ્યા

આ ઉપરાંત શપથ ગ્રહણ સમારોહમાં ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી, કર્ણાટકના રાજ્યપાલ થાવરચંદ ગેહલોત, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ, પંજાબના રાજ્યપાલ અને ચંદીગઢના પ્રશાસક ગુલાબ ચંદ કટારિયા, ઝારખંડના રાજ્યપાલ સંતોષ ગંગવાર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ હાજર રહ્યા હતા.

સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા

ભારતના આગામી ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણનને ચૂંટવામાં આવ્યા હતા. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. જયારે વી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા હતા. લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

રાજકીય સફર વર્ષ 1998માં શરૂ થઈ હતી

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનનો જન્મ તમિલનાડુના તિરુપુર જિલ્લામાં થયો હતો. તેઓ 17 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. ભાજપ સાથે તેમનો લાંબો સબંધ રહ્યો છે. તેમની રાજકીય સફર વર્ષ 1998માં શરૂ થઈ હતી. જ્યારે તેઓ કોઈમ્બતુરથી લોકસભા માટે ચૂંટાયા હતા.

તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા

સીપી રાધાકૃષ્ણન અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન વર્ષ 1998 અને 1999 ની સામાન્ય ચૂંટણીઓમાં સતત બે વાર સાંસદ બન્યા હતા. વર્ષ 1998 ની જીત ખાસ હતી કારણ કે તે કોઈમ્બતુર બોમ્બ વિસ્ફોટ પછી થઈ હતી અને ભાજપને તમિલનાડુમાં પહેલીવાર ત્રણ બેઠકો મળી હતી. તેઓ વર્ષ 2004 -2007 સુધી તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.

કોઈમ્બતુરથી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું

તેઓ વર્ષ 2014 અને વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં કોઈમ્બતુરથી ભાજપના ઉમેદવાર હતા, જ્યાં વર્ષ 2014 માં તેઓ 3.89 લાખથી વધુ મતો મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. વર્ષ 2016-2020 સુધી, તેઓ કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળના કોઈર બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય તરીકે પણ સક્રિય હતા.

ઝારખંડ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા

વર્ષ 2023 માં કેન્દ્ર સરકારે તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યાં તેમણે આદિવાસી સમુદાયોના સશક્તિકરણ પર ભાર મૂક્યો. ફેબ્રુઆરી 2024 માં તેઓ મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ બન્યા છે. તેમના સત્તાધારી ઉપરાંત વિપક્ષો સાથે પણ સંબંધો પણ સારા માનવામાં આવે છે.

આપણ વાંચો:  રશિયાની સેનામાં ભારતીયોને ભરતી મુદ્દે વિદેશ મંત્રાલયે કરી આ સ્પષ્ટતા

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button