કોરોનાના નવા વેરિઅન્ટ્સ કેટલા ખતરનાક? ICMRએ આપી મહત્વની માહિતી, જાણો શું કહ્યું

નવી દિલ્હી: દેશના કેટલાક ભાગોમાં ફરી કોવિડ-19ના કેસોમાં વધારો નોંધાયો છે, જેને કારણે લોકોમાં ગભરાટનો માહોલ છે. લોકોને વર્ષ 2020-21નો ભયાનક સમય યાદ આવી રહ્યો છે, જે દરમિયાન લાખો ભારતીયોએ બીમારીને કારણે જીવ ગુમાવ્યો હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું હતું કે સોમવારે ભારતમાં કુલ એક્ટીવ કોવિડ-19 કેસની સંખ્યા 1,009 છે. એવામાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના ડાયરેક્ટર જનરલ ડૉ. રાજીવ બહલે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં મહત્વની વાત કહી હતી.
ભારતમાં કોરોના વાયરસના નવા વેરિઅન્ટ્સ મળી આવવા અંગે ડૉ. રાજીવ બહલે કહ્યું કે પશ્ચિમ અને દક્ષિણથી લેવામાં આવેલા સેમ્પલ્સના જીનોમ સિક્વન્સિંગથી જાણવા મળ્યું છે કે નવા વેરિઅન્ટ્સ ગંભીર નથી અને LF.7, XFG, JN.1 અને NB 1.8.1. જેવા ઓમિક્રોન પેટા-વેરિઅન્ટ્સ છે. અન્ય સ્થળોએથી લેવામાં આવેલા સેમ્પલ્સનું સિક્વન્સિંગ કરવામાં આવી રહ્યું છે અને અમને એક કે બે દિવસમાં ખબર પડશે કે વાયરસના વધુ વેરિઅન્ટ્સ છે કે નહીં.
ICMR સ્થિતિ પર નજર રાખી રહ્યું છે:
તેમણે કહ્યું કે કેસોમાં વધારો થયો છે – પહેલા દક્ષિણમાંથી, પછી પશ્ચિમમાંથી અને હવે ઉત્તર ભારતમાં પણ કેસ વધી રહ્યા છે. આ બધા કેસોનું નિરીક્ષણ ઇન્ટિગ્રેટેડ ડિસીઝ સર્વેલન્સ પ્રોગ્રામ (IDSP) દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત, ICMRનું રાષ્ટ્રવ્યાપી રેસ્પીરેટરી વાયરસ સેન્ટિનલ સર્વેલન્સ નેટવર્ક વધી રહેલા ઇન્ફેકશન અને પેથોજન્સ પર નજર રાખી રહ્યું છે.
તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું, “જ્યારે પણ કેસ વધે છે, ત્યારે ઇન્ફેકશન કેવીરીતે ફેલાય છે અને કેસ કેટલી ઝડપથી વધી રહ્યા તેના પર નજર રાખીએ છીએ. અગાઉ આપણે કોવિડના કેસ બે દિવસમાં બમણા જોયા હતા, પરંતુ આ વખતે એવું નથી. કેસ ઝડપથી વધી રહ્યા નથી.”
ડૉ. બેહલે કહ્યું, “અમે એ પણ ધ્યાન રાખીએ છીએ કે, શું નવા વેરીએન્ટ રોગપ્રતિકારક શક્તિને પછાડી રહ્યા રહ્યા છે? જ્યારે નવા વેરીએન્ટ આવે છે, ત્યારે તે કુદરતી કે રસીથી મળેલી હોય રોગપ્રતિકારક શક્તિથી બચી જાય છે. પરંતુ હાલમાં ચિંતા કરવાની કોઈ વાત નથી.”
ગંભીર કેસોની સંખ્યા ઓછી:
તેમણે એમ પણ કહ્યું કે ICMR કોવિડ કેસોમાં ગંભીર કેસોની ટકાવારી પર પણ નજર રાખી રહ્યું છે. તેમણે જણાવ્યું, “હાલમાં, ગંભીર કેસોની સંખ્યા સામાન્ય રીતે ઓછી છે. ચિંતા કરવાની કોઈ વાત નથી. આપણે સતર્ક રહેવું જોઈએ અને હંમેશા તૈયાર રહેવું જોઈએ. હાલ કોઈ કાર્યવાહી કરવાની પણ જરૂર નથી. લોકોએ તાત્કાલિક કોઈ પગલાં લેવાની જરૂર નથી. તેમણે સામાન્ય સાવચેતીઓનું પાલન કરવું જોઈએ. હાલમાં કંઈ વિશેષ કરવાનું નથી.”
નવી વેક્સિનની જરૂર:
વેક્સીનની જરૂરિયાત વિશે માહિતી આપતા ડૉ. બહલે કહ્યું, “સરકારે નવી વેક્સિન બનાવવા માટે પ્લેટફોર્મ વિકસાવ્યા છે. જો ભવિષ્યમાં કોઈ નવો વેરીએન્ટ ફેલાય, તો સરકાર પાસે બે વિકલ્પો છે. હાલની વેક્સિનની અસરકારકતાનું મૂલ્યાંકન કરવું અને નવા વેક્સીન ટાર્ગેટ બનાવતી નવી વેક્સિન વિકસાવવી.”
ડૉ. બહલે પત્રકારોને એમ પણ જણાવ્યું હતું કે રવિવારે કેન્દ્રીય આરોગ્ય સચિવની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. WHO ડેટાબેઝ દર્શાવે છે કે નવા વેરીએન્ટ ગંભીર તકલીફનું કારણ નથી બની રહ્યા.
આ પણ વાંચો…મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં કોરોનાના નવા 43 કેસ, મુંબઈના સૌથી વધુ…