નેશનલ

તેલંગાણામાં ભાજપ જીતશે તો મુખ્ય પ્રધાન ઓબીસીમાંથી હશેઃ ગૃહ પ્રધાન અમિત શાહની જાહેરાત

આગામી મહીને તેલંગાણા સહિત પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા જાતિ એક મોટો રાજકીય મુદ્દો બની રહી છે. તેલંગાણામાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મોટી જાહેરાત કરી હતી. તેમણે એક જાહેર સભામાં કહ્યું હતું કે જો ભાજપ તેલંગાણામાં ચૂંટણી જીતશે તો મુખ્ય પ્રધાન ઓબીસી સમુદાયના વ્યક્તિને બનાવવામાં આવશે. અમિત શાહે શુક્રવારે સૂર્યપેટમાં યોજાયેલી રેલીમાં આ જાહેરાત કરી હતી.

તેલંગાણામાં 30 નવેમ્બરના રોજ વિધાનસભાની ચૂંટણીમાટે મતદાન થવાનું છે. સૂર્યપેટમાં આયોજિત પ્રજા ગર્જના સભામાં અમિત શાહે કહ્યું હતું કે, ભાજપ ગરીબોની પાર્ટી છે. કેસીઆરનો ઉદ્દેશ્ય કેટીઆરને સીએમ બનાવવાનો છે અને સોનિયા ગાંધીના જીવનનું લક્ષ્ય રાહુલ ગાંધીને પીએમ બનાવવાનું છે. જો ભાજપ જીતશે તો તેઓ પછાત વર્ગમાંથી મુખ્ય પ્રધાન બનાવશે. અમિત શાહે તેલંગાણાના લોકોને રાજ્યમાં ભાજપની સરકાર બનાવવા માટે મત આપવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે બિહારની નીતીશ કુમાર સરકારે 2 ઓક્ટોબરે જાતિ સર્વેક્ષણ અહેવાલ જાહેર કર્યા બાદ, ઘણા પક્ષોએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જાતિ સર્વેક્ષણ અને ગણતરીની હિમાયત કરી હતી. પ્રાદેશિક પક્ષોનું માનવું છે કે આનાથી તેમને જ ફાયદો થશે. લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાના ઉદ્દેશ્ય સાથે રચાયેલ વિરોધ પક્ષોના ગઠબંધન ‘ઇન્ડિયા’ની મુંબઈમાં યોજાયેલી ત્રીજી બેઠકમાં દેશમાં જાતિ ગણતરી પર ભાર મૂક્યો હતો.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button