
બિલાસપુરઃ ઉત્તર ભારતમાં કુદરત રુઠી હોય એમ એક પછી એક આફતોનો લોકો ભોગ બની રહ્યા છે. હિમાચલ પ્રદેશના બિલાસપુરના મહોતનથી ઘુમારવી જઈ રહેલી એક ખાનગી બસ ભૂસ્ખલનનો ભોગ બની. ભૂસ્ખલન પછી પથ્થરો બસ પર તૂટી પડવાને કારણે 15 પ્રવાસીનાં મોત થયા છે. મૃતકમાં બે બાળકીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે એક છોકરીની માતાનું મોત થયું છે. આ દુર્ઘટના પછી અસરગ્રસ્તોની તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
દુર્ઘટનામાં બસ ડ્રાઈવરનું થયું મોત
બિલાસપુરના બલ્લુ પુલ નજીક અચાનક પહાડોમાંથી પસાર થઈ રહેલી બસ પર પથ્થરોના કાટમાળ તૂટી પડ્યો હતો. બસમાં આશરે 30થી 35 પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા. આજે સાંજના લગભગ છ વાગ્યાના સુમારે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાય છે. બસમાં મુસાફરી કરી રહેલા સ્થાનિક મરોતન બરઠીં, ઘુમારવી અને અન્ય જગ્યાના રહેવાસીઓ ભોગ બન્યા છે. મળતી માહિતી પ્રમાણે બસના ડ્રાઈવરનું મોત થયું છે, જ્યારે અત્યાર સુધીમાં મૃતકોની ઓળખ થઈ શકી નથી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: ચેન્નઈ થર્મલ પાવર સ્ટેશન દુર્ઘટના: 30 ફૂટની ઊંચાઈ પરથી આર્ચ તૂટતાં 9 મજૂરનાં મોત…
પીડિતોને મદદ કરવાની સરકારે આપી ખાતરી
આ દુર્ઘટના મુદ્દે રાજ્યના મુખ્ય પ્રધાન ઠાકુર સુખવિન્દર સિંહે સુક્ખુએ દુખ વ્યક્ત કર્યું હતું. મૃતકના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે અત્યારના કપરા સમયમાં પીડિતના પરિવાર સાથે રાજ્ય સરકાર મજબૂત રીતે ઊભી છે તથા તમામ પીડિત પરિવારના લોકોને શક્ય એટલી મદદ કરવામાં આવશે.
રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ
મુખ્ય પ્રધાને જિલ્લા પ્રશાસનના અધિકારીઓના સંપર્કમાં છે તથા રાહત અને બચાવ કામગીરી ઝડપથી પાર પાડવાનો આદેશ આપ્યો છે. ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવાનો નિર્દેશ આપ્યા છે તેમ જ સમગ્ર પરિસ્થિતિ પર મુખ્ય પ્રધાન નજર રાખી રહ્યા છે. આખી રાત બચાવ અને રાહતની કામગીરી ચાલુ રહેશે, એમ અધિકારીએ જણાવ્યું હતું.