નેશનલ

હિમાચલ પ્રદેશમાં શિમલા, મંડી સહિત 18 જગ્યાએ ભૂસ્ખલનનું જોખમ, ત્રણનાં મોત…

ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદ-પૂરથી જનજીવન અસ્તવ્યસ્ત,

શિમલા/મુઝફ્ફરનગર/જમશેદપુર/ભુવનેશ્વરઃ હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદ અને પૂરના કારણે ઠેરઠેર પાણી ભરાવાની સ્થિતિમાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં ભારે વરસાદને કારણે એક ઘર ધરાશાયી થતાં ૮૦ વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું. હિમાચલ પ્રદેશમાં તો આફત બનીને વરસાદ વરસી રહ્યો છે, જ્યારે ભારે વરસાદને કાણે હવામાન વિભાગે 22 ભૂસ્ખલન માટેના સંવેદનશીલ વિસ્તારો માટે ચેતવણી જારી કરી છે. 130 વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે, જ્યારે 259 જાહેર રસ્તા બંધ કરવામાં આવ્યા છે. એકલા હિમાચલ પ્રદેશમાં 24 કલાકમાં ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે સિઝનમાં 20 લોકોનાં મોત થયા છે.

ઉત્તર પ્રદેશમાં બિજનૌર બેરેજ પર ગંગા નદી ખતરાના નિશાનની નજીક પહોંચતા અધિકારીઓએ એલર્ટ જારી કર્યું છે. સદર સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટ(એસડીએમ) નિકિતા શર્માએ જણાવ્યું કે જિલ્લાના વિવિધ ભાગોમાં ભારે વરસાદ દરમિયાન અનેક મકાનો ધરાશાયી થયા છે. મૃતકની ઓળખ સદર તાલુકાના છાપરા ગામના ભરતો તરીકે થઇ છે. મૃતકના પરિવારને યોગ્ય નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે એમ અધિકારીએ જણાવ્યું હતું.

ETV Bharat

તેમણે વધુમાં જણાવ્યું કે જિલ્લામાં વરસાદને કારણે સંપત્તિને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે મહેસૂલ અધિકારીઓને મોકલવામાં આવ્યા છે. આ દરમિયાન ગંગાનું જળસ્તર સતત વધી રહ્યું હોવાથી પૂર ચોકીઓને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નદીની નજીકના લગભગ એક ડઝન નીચાણવાળા ગામોના રહેવાસીઓને સાવચેતીના પગલા તરીકે કિનારાની નજીક ન જવાની સલાહ આપવામાં આવી છે.

ઝારખંડના કોલ્હાન ક્ષેત્રમાં આજે ભારે વરસાદને કારણે વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં જનજીવન અતિશય પ્રભાવિત થયું હતું. એક સત્તાવાર નિવેદન અનુસાર જમશેદપુરમાં ખરખાઇ અને સુવર્ણરેખા નદીઓ ઉફાણ પર છે અને ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. કોલ્હાન ક્ષેત્રમાં પૂર્વ અને પશ્ચિમ સિંઘભૂમ તથા સરાઇકેલા-ખારસવાન જિલ્લાઓનો સમાવેશ થાય છે.

આ દરમિયાન પૂર્વ સિંઘભૂમના બહરાગોરા વિધાનસભા ક્ષેત્રના ભૂતપૂર્વ ધારાસભ્ય અને જેએમએમ પ્રવક્તા કુણાલ સારંગીએ જણાવ્યું કે બહરાગોરા બ્લોકમાં સતત વરસાદને કારણે ઘણા ઘરો ડૂબી ગયા છે અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. પૂર્વ સિંઘભૂમ અને સરાઇકેલા-ખારસવાન જિલ્લાના જિલ્લા વહીવટીતંત્રે ખરખાઇ અને સુવર્ણરેખા નદીઓના જળસ્તરમાં અચાનક વધારો થવાની સંભાવનાને ધ્યાને લઇને એલર્ટ જારી કર્યું છે. આ દરમિયાન ઓડિશાના રાયરંગપુર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યા બાદ સરાઇકેલા-ખારસવાન વહીવટીતંત્રે અધિકારીઓને એલર્ટ પર રાખ્યા છે.

ઉત્તર ઓડિશામાં મુખ્ય નદીઓમાં પૂર આવતાં રાજ્ય સરકારે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવાનું શરૂ કર્યું છે. તેમજ બાલાસોર અને મયુરભંજ જિલ્લામાં બચાવ અને રાહત કામગીરી શરૂ કરી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું. સુવર્ણરેખા, બુધબલંગ, જલાકા અને સોનો જેવી નદીઓમાં જળસ્તર સતત વધી રહ્યું હોવાથી રાજ્ય સરકારે બંને જિલ્લાઓ માટે રેડ એલર્ટ જારી કર્યું છે.

બાલાસોરમાં બલિયાપાલ, ભોગરાઇ, જલેશ્વર અને બસ્તા એમ ચાર બ્લોક પ્રભાવિત થવાની સંભાવના છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બુધબલંગ નદીના કારણે બાલાસોર નગરપાલિકા અને સદર વિસ્તારોમાં પૂરની શક્યતા છે. જ્યારે જલાકા નદીના પાણી બસ્તા અને બાલાસોર સદર વિસ્તારોને અસર કરે તેવી શક્યતા છે.

મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન પ્રધાન સુરેશ પૂજારીએ પૂરની પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી પત્રકારોને જણાવ્યું કે બાલાસોર અને મયુરભંજના કેટલાક ભાગોમાં પૂરના પાણી ભરાઇ ગયા છે. જિલ્લા વહીવટીતંત્રે નીચાણવાળા અને પૂરની આશંકાવાળા વિસ્તારોમાંથી લોકોને બહાર કાઢવાનું શરૂ કરી દીધું છે. બચાવ અને રાહત કામગીરી ચાલુ છે. તેમજ પરિસ્થિતિ નિયંત્રણમાં છે.

આપણ વાંચો : હિમાચલ પ્રદેશમાં વરસાદે તબાહી મચાવી, 3 લોકોના મોત, 4 હજી લાપતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button