
નવી દિલ્હીઃ ભારતના પૂર્વોત્તરના રાજ્યોમાં મુશળધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટના જણાવ્યા અનુસાર આશરે 20,000 લોકો વરસાદથી પ્રભાવિત થયા છે. આસામ, મણિપુર, ત્રિપુરા, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમમાં પૂર અને ભૂસ્ખલનના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલમાં રાજ્યના લોકોને આ પરેશાનીમાંથી રાહત મળવાની કોઈ શક્યતા નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસ સુધી પૂર્વોત્તરના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આને ધ્યાનમાં રાખીને એનડીઆરએફ, પોલીસ, સેના સહિત અનેક એજન્સીઓ એલર્ટ પર છે.
મિલિટરી કેમ્પ ભૂસ્ખલનની ઝપેટમાં
પૂર્વથી ઉત્તર સુધી ચોમાસાની આફતથી અત્યાર સુધીમાં 37 લોકોના જીવ ગયા છે. ઉત્તર સિક્કિમમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં પૂર આવ્યું છે. ઘણા વિસ્તારો સંપર્ક વિહોણા થઈ ગયા છે. સિક્કિમનો એક મિલિટરી કેમ્પ પણ ભૂસ્ખલનની ઝપેટમાં આવી ગયો છે. આ દુર્ઘટનામાં સેનાના ત્રણ જવાનોના મૃત્યુ થયા છે, જ્યારે 6 જવાનો હજુ પણ ગુમ છે. આવા સંજોગોમાં પ્રશાસન કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવાના મૂડમાં નથી.
સિક્કિમથી અરુણાચલ અને ત્રિપુરાથી આસામ સુધી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂરમાં હજારો ઘરો જળમગ્ન થઈ ગયા છે. ભૂસ્ખલનને કારણે ભારે તબાહી થઈ છે. સેંકડો મકાન કાટમાળમાં ફેરવાઈ ગયા છે.
મણિપુરમાં સૌથી વધુ અસર
મણિપુરમાં વરસાદની સૌથી વધુ અસર જોવા મળી છે. સમગ્ર શહેર જળમગ્ન થઈ ગયું છે. રસ્તાઓ દરિયામાં ફેરવાઈ ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહી છે. હજારો ઘરોમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. આ કારણે લોકો બેઘર બન્યા છે અને ત્રણ હજારથી વધુ ઘરો ડૂબી ગયા છે. પરિસ્થિતિ એટલી ખરાબ છે કે ઓફિસો અને હોસ્પિટલોમાં પણ પાણી ભરાઈ ગયું છે. આ કારણે દર્દીઓ અને જરૂરી સાધનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. મણિપુરમાં અત્યાર સુધીમાં લગભગ 20 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. લગભગ 3365 જેટલા ઘરોને નુકસાન થયું છે. ભારે વરસાદને કારણે શહેરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. આવા સંજોગોમાં સેના, એનડીઆરએફ, આસામ રાઈફલ્સ અને ફાયર સર્વિસની ટીમો લોકોને બચાવવામાં લાગેલી છે.
આસામની અનેક નદીઓ બે કાંઠે
મણિપુર જેવી જ સ્થિતિ આસામની પણ છે. ભારે વરસાદના કારણે આસામના નાગાંવ જિલ્લાની કોપિલી નદી બે કાંઠે વહી રહી છે. કામપુર વિસ્તાર જળમગ્ન થઈ ગયો છે અને તિનસુકિયા જિલ્લામાં પણ ડિબ્રુ નદીમાં પૂર આવવાને કારણે વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ છે. પૂર અને વરસાદને કારણે નોર્થ લખીમપુરના ઘણા ગામો ટાપુ બની ગયા છે. અહીં ચારે તરફ પાણી જ પાણી દેખાઈ રહ્યું છે.
એનડીઆરએફ, એસડીઆરએફ, રાજ્ય પોલીસ, સેનાના જવાન અને સ્થાનિક સ્વયંસેવકોની ટીમો દ્વારા બચાવ અને રાહત કામગીરી કરવામાં આવી રહી છે. અધિકારીઓ દ્વારા લોકોને બચાવ કામગીરી દરમિયાન લોકોને સત્તાવાર સૂચનાનું પાલન કરવાની અપીલ કરી હતી.
આ પણ વાંચો….પૂર્વોત્તર રાજ્યોમાં પૂરનો પ્રકોપ યથાવતઃ આ રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી