
નવી દિલ્હી: ભારતમાં સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદનું જોર યથાવત્ છે. સપ્ટેમ્બરની મહિનાની શરૂઆતમાં જ ઠેર ઠેર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં સરેરાશથી 5% વધુ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, સપ્ટેમ્બરમાં પણ 109%થી વધુ વરસાદની આગાહી છે, જેના કારણે ઉત્તરીય અને મધ્ય ભારતમાં પૂર અને ભૂસ્ખલન જેવી સમસ્યાઓ વધી શકે છે.
ગઈકાલ સુધીમાં પંજાબમાં વરસાદને કારણે 29 જેટલા લોકોના મોત થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. જ્યારે હિમાચલ અને ઉત્તરાખંડમાં ભારે વરસાદે જન જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે.
આ વર્ષે ચોમાસુ ઉત્તરપશ્ચિમ અને મધ્ય ભારતમાં વધુ સક્રિય રહ્યું છે, જેનાથી ગરમીમાં રાહત મળી છે પરંતુ યાતાયાત અને રોજિંદા જીવનમાં અડચણો વધી છે.
દિલ્હી-એનસીઆર વિસ્તારમાં આજે સવારથી જ વરસાદનો શરૂ થઈ ચૂક્યો છે. જેના કારણે ગુરુગ્રામમાં મુખ્ય રસ્તાઓ પર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સેંકડો વાહનચાલકો ફસાયા છે અને નોકરી ધંધા પર પહોંચવામાં કલાકોનો વિલંબ થઈ રહ્યો છે.
દિલ્હી-જયપુર હાઈવે પર ઇફ્કો ચોક વિસ્તારમાં પણ ટ્રાફિક જામ થયો હતો. જ્યાં પીક અવર્સમાં વરસાદને કારણે વાહનો ધીમે ધીમે ચાલી રહ્યા છે અથવા અટકી ગયા છે. કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પર ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, જેનાથી સોમવારના દિવસે લોકોને અડધા કલાકના સફરમાં ત્રણથી ચાર કલાક લાગ્યા હતા.
ગુરુગ્રામમાં વરસાદનું એલર્ટ
આ વરસાદથી ગરમીમાં રાહત મળી છે, પરંતુ ટ્રાફિક સહિતની ઘણી વ્યવસ્થા વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને લોકો પરેશાન થયા છે. ગુરુગ્રામમાં ઇફ્કો ચોક ઉપરાંત અન્ય મુખ્ય રસ્તાઓ પર પણ સાંજથી જામ જોવા મળ્યો છે. પ્રશાસને એડવાઇઝરી જારી કરી છે.
જેમાં જિલ્લા આપદા વ્યવસ્થાપન અધિકારી અજય કુમારે શાળાઓ અને કોર્પોરેટ કાર્યાલયોને ઓનલાઇન વ્યવસ્થા અપનાવવાની સલાહ આપી છે. હવામાન વિભાગે જણાવ્યું કે સોમવારે બપોરે 3થી સાંજે 7 વાગ્યા સુધી 100 મિમીથી વધુ વરસાદ નોંધાયો છે, અને મંગળવાર માટે ભારેથી અતિ ભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જારી કરાયું છે.
મહારાષ્ટ્રમાં વરસાદની સ્થિતિ
મહારાષ્ટ્રમાં ઓગસ્ટ મહિનામાં રેકોર્ડબ્રેક વરસાદ થયો છે, જેમાં મુંબઈમાં છેલ્લા પાંચ વર્ષનો સૌથી વધુ વરસાદ નોંધાયો છે. ચોમાસુની શરૂઆતથી જ રાજ્યમાં ભારે વરસાદને કારણે પૂર અને અન્ય અસરો જોવા મળી છે, અને સપ્ટેમ્બરમાં પણ વરસાદ વધુ તીવ્ર રહેવાની આગાહી છે.
કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર અને અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે, જેનાથી ખેડૂતોને ફાયદો થયો છે પરંતુ શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા વધી છે.
કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જામનો વીડિયો શેર કરીને બીજેપી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે લખ્યું કે ‘બે કલાકના વરસાદથી ગુરુગ્રામમાં 20 કિલોમીટરનો જામ’ થયો છે. વધુમાં તેમણે મુખ્યમંત્રીને હેલિકોપ્ટરમાં મુસાફરી કરવા માટે ટીકા કરી છે.
જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ વર્ધન યાદવે કહ્યું કે રાજ્યમાં આવી સરકાર છે કે મિલેનિયમ સિટી ‘સિંક સિટી’ બની ગઈ છે, જ્યારે શહેરી કોંગ્રેસ અધ્યક્ષ પંકજ દાવરે ગુરુગ્રામને ‘તળાવગ્રામ’ કહીને સરકારની ભ્રષ્ટાચાર પર આલોચના કરી છે.
આ પણ વાંચો…ઓગસ્ટમાં દેશભરમાં ‘રેકોર્ડબ્રેક’ વરસાદ અને જાનહાનિ, હવે મેઘરાજા ‘ખમૈયા’ કરશે કે નહીં?