
રાયપુર: છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં ગુરુવારે માઓવાદી વિરોધી કાર્યવાહી દરમિયાન સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ભીષણ અથડામણ થઈ હતી. આ અથડામણમાં સીઆરપીએફના કોબ્રા યુનિટની 210મી બટાલિયનના બહાદુર જવાન કોન્સ્ટેબલ સોલંકી મેહુલભાઈ નંદલાલ શહીદ થયા હતા. આ ઉપરાંત, સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહીમાં એક નક્સલવાદીને ઠાર માર્યો હતો અને તેની પાસેથી એક હથિયાર પણ જપ્ત કર્યું હતું.
ભાવનગર જિલ્લાના જવાન શહીદ
અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ કાર્યવાહી જિલ્લાના ઉસૂર પોલીસ સ્ટેશન હેઠળના તુમરેલ વિસ્તારમાં ચાલી રહી છે, જેમાં સીઆરપીએફની કોબ્રા યુનિટ, છત્તીસગઢ પોલીસની ડીઆરજી અને એસટીએફના જવાનો જોડાયેલા છે. અથડામણ દરમિયાન એક કોબ્રા કમાન્ડો ઘાયલ પણ થયો હોવાનું જાણવા મળ્યું છે. શહીદ થયેલા કોન્સ્ટેબલ સોલંકી મેહુલભાઈ નંદલાલ ગુજરાતના ભાવનગરના સિહોરના દેવગાણા ગામ વતની હોવાની વિગતો છે. ભારતીય સેનાના જવાનો દ્વારા આ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન ચાલુ છે.
માઓવાદી વિરોધી કાર્યવાહી વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે ઘાયલોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના એક હેલિકોપ્ટરને સેવામાં મોકલવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં કમાન્ડો બટાલિયન ફોર રિઝોલ્યુટ એક્શન એ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સનું એક ખાસ જંગલ યુદ્ધ એકમ છે કે જે ડાબેરી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં કામગીરી માટે મુખ્ય દળ છે એ સંયુકત રીતે કાર્યરત્ છે. કેન્દ્ર સરકાર દ્વારા આગામી વર્ષે માર્ચ સુધીમાં દેશમાંથી આ ખતરાને ખતમ કરવાની જાહેરાતના ભાગરૂપે સુરક્ષા દળો વામપંથી ઉગ્રવાદથી પ્રભાવિત રાજ્યોમાં સતત કામગીરી કરી રહ્યા છે.