દેશમાં સહકારી ક્ષેત્રનો વિકાસ અસમાન રીતે થયો, સરકાર તેના સપ્રમાણ વિકાસ માટે પગલાં લઈ રહી છે: અમિત શાહ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન અમિત શાહે શુક્રવારે જણાવ્યું હતું કે ભારતમાં સહકારી ક્ષેત્રનો વિકાસ અસમાન રીતે થયો છે, કારણ કે તે ફક્ત પશ્ર્ચિમી ભાગોમાં કેન્દ્રીત થઈ ગયો હતો, પરંતુ ઉત્તર અને પૂર્વના પ્રદેશોમાં સહકારી ચળવળ નબળી રહી હતી અને ઉમેર્યું હતું કે સરકાર આ ક્ષેત્રનો વિકાસ સપ્રમાણ બનાવવાનો ઇરાદો ધરાવે છે.
નેશનલ એગ્રીકલ્ચરલ કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (નાફેડ) દ્વારા આયોજિત સહકાર ક્ષેત્રની પરિષદને સંબોધતા તેમણે એમ પણ કહ્યું હતું કે સહકાર ક્ષેત્ર મર્યાદિત મૂડી સાથે વધુ નફો આપીને અર્થતંત્રને વેગ આપે છે.
‘ભારતના ઉત્તર અને પૂર્વના ભાગોમાં સહકારી ચળવળ નબળી રહી હતી અને દેશના ફક્ત પશ્ર્ચિમી ભાગોમાં કેન્દ્રીત હતી, પરંતુ અમે પહેલેથી જ તેને વર્તમાન અસમાન વિકાસથી સપ્રમાણ રીતે વિકાસ કરીને ક્ષેત્રને પરિવર્તન લાવવાની દિશામાં પગલાં લઈ રહ્યા છીએ,’ એમ કેન્દ્રીય ગૃહ અને સહકાર ખાતાના પ્રધાને જણાવ્યું હતું.
‘અમે દેશના તમામ સ્તરે સહકાર ક્ષેત્રને મજબૂત બનાવીને તેની પ્રગતિ કરવા પર ધ્યાન કેન્દ્રીત કરીશું,’ એમ તેમણે કહ્યું હતું.
જીડીપી વિકાસ માપવાનું એકમાત્ર પરિમાણ નથી. સહકાર ક્ષેત્ર ઓછી મૂડીમાં વધુ નફો અને રોજગારની તકો પૂરી પાડીને વિકાસ અને અર્થતંત્રને વેગ આપે છે, એમ શાહે જણાવ્યું હતું.
સહકાર ચળવળથી ગ્રામીણ અર્થતંત્રમાં ક્રાંતિ આવી. ગુજરાતમાં અમૂલ (ડેરી સહકારી) સાથે સંકળાયેલી 36 લાખ મહિલાઓ પાસે 100 રૂપિયા પણ મૂડી નહોતી, પરંતુ આજે તેનું ટર્નઓવર 80,000 કરોડ રૂપિયા છે, એમ તેમણે જણાવ્યું હતું.
શાહના મતે સહકાર મંત્રાલયે દેશમાં સહકારી એકમોનો ડેટા સંકલિત કર્યો છે જેથી સરકાર જાણે છે કે ક્યાં શૂન્યાવકાશ છે અને તે ક્ષેત્રોના વિસ્તરણની દિશામાં પગલાં લેવામાં આવી રહ્યા છે.
બે લાખ નવી પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ) બનાવવામાં આવશે અને તેને બહુ-પરિમાણીય બનાવવામાં આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે એમ પણ જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતીને પણ પ્રોત્સાહન મળશે, તેમણે ઉમેર્યું હતું કે બીજનું રક્ષણ અને સાચવણ કરવામાં આવી રહી છે અને બીજનું ઉત્પાદન વધારવા પર ભાર મૂકવામાં આવશે.
આ પણ વાંચો - ‘ઓપરેશન સિંધુ’ સફળ: આજે ઈરાનમાંથી 1000 ભારતીય સ્વદેશ પરત ફરશે
‘અમે નિકાસ, ઓર્ગેનિક ખોરાક અને બીજના ક્ષેત્રને આગામી 10 વર્ષમાં પ્રોત્સાહન આપવાની યોજના બનાવીએ છીએ,’ એમ તેમણે જણાવ્યું હતું.
જો ખેડૂતો તેની એપ પર નોંધણી કરાવે તો તેઓ દાળ, મકાઈ અને તેલીબિયાં નાફેડને વેચી શકે છે. પરંતુ જો બજારનો દર વધુ હોય, તો તેઓ સીધા જ પોતાના ઉત્પાદન વેચી શકે છે, એમ શાહે જણાવ્યું હતું.